મોરબીમાં અજંતા ગ્રુપ સાથે ઝુલતા પુલનો ખાનગીમાં કરાર કર્યા બાદ બચવા માટે પાલિકામાં હવે કરાયો તાબડતોબ સર્ક્યુલેટીવ ઠરાવ !?
SHARE
મોરબી નગરપાલિકાની માલિકી વાળા જુલતાપુલનો છેલ્લે અજંતા ગ્રુપ (ઓરેવા ગ્રૃપ) સાથે જે કરાર કરવામાં આવ્યો હતો તે કરારને જનરલ બોર્ડમાં લેવામાં આવ્યો ન હતો પરંતુ હાલમાં જ્યારે ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ હાઇકોર્ટમાં સુઓમોટો અને પીએલઆઇની સુનવણી એક સાથે ચાલી રહી છે ત્યારે તેમાં બચવા માટે નગરપાલિકાએ સિનિયર એડવોકેટને મોરબી નગરપાલિકાની રજૂઆત કરવા માટે થઈને રોકિયા છે અને તે માટે તેની એડવોકેટ ફી તથા આ કેસ માટે જે કોઈપણ ખર્ચ થાય તે મંજૂર કરવા તાબડતોબ મોરબી નગરપાલિકામાં પાલિકા પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે અને તેમાં પાલિકાના કેટલાક સભ્યોએ સહમતિ દર્શાવી છે જેથી કરીને આ મુદ્દો ચૂંટણીમાં રાજકીય રીતે રંગ પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે
મોરબીની મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ ગત 30 તારીખના રોજ સાંજના સમયે ધડાકા ભેટ તૂટી પડ્યો હતો અને ત્યારે આ પુલ ઉપર પોતાના પરિવારજનો સાથે બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકો હરવા ફરવા માટે થઈને આવ્યા હતા ત્યારે પુલ તૂટી પડતા પુલના કાટમાળ સાથે નદીના પટમાં પડવાના કારણે પાણીમાં ડૂબી જવાથી અને પથ્થર ઉપર પટકાવવાના કારણે બાળકો સહિત કુલ મળીને 135 લોકોના મોત નીપજ્યા હતા જેથી કરીને ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ દેશ અને દુનિયામાં આ ઘટનાના પડઘા પડ્યા હતા અને તેમ છતાં પણ સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી ન લેવામાં આવતા હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં સુોમોટો તેમજ પીએલઆઇની એક સાથે સુનાવણી ચાલી રહી છે ત્યારે પાલિકાની પછેડી દબાઈ હોવાથી તાત્કાલિક સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે
હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપ સાથે છેલ્લે ગત માર્ચ મહિનામાં જે કરાર કરવામાં આવ્યો હતો તે કરારનો ઠરાવ પાલિકાના જનરલ બોર્ડમાં કરવામાં આવ્યો ન હતો જેથી કરીને તે કરારની સામે હાલમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને જુદી જુદી એજન્સીઓ દ્વારા ઝૂલતો પુલ તૂટી પડવા મુદ્દે તપાસ ચલાવવામાં આવી રહી છે તેની સાથોસાથ હાઇકોર્ટમાં સુઓમોટો અને પીએલઆઇની સુનવણી પણ એક સાથે ચાલી રહી હોય નગરપાલિકા તરફે આ કેસમાં સિનિયર એડવોકેટ રોકવાની જરૂરિયાત લાગતા તાત્કાલિક ધોરણે નગરપાલિકામાંથી પાલિકાના પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે અને ઠરાવ કરીને સિનિયર એડવોકેટને મોરબી નગરપાલિકા તરફે રજૂઆત કરવા માટે રોકવાની કવાયત શરૂ કરવામાં આવી છે અને કુલ મળીને બે એડવોકેટને મોરબી નગરપાલિકાની હાઇકોર્ટમાં રજૂઆત કરવા માટે થઈને રોકવા માટેનો આ ઠરાવ કરાયો છે અને તેમાં એડવોકેટની ફી તેમજ આ કેસ માટે જે કંઈ ખર્ચ થાય તે ખર્ચ મંજૂર કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે
અત્રે ઉલ્લેખનીએ છે કે મોરબી નગરપાલિકા દ્વારા ગત માર્ચ મહિનામાં જ્યારે ઓરેવા ગ્રુપ સાથે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી ત્યારે હાલમાં જે રીતે પાલિકાના બચાવ માટે એડવોકેટ પાલિકાના ખર્ચે રોકવા માટેનો તાબડતોબ સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે આવી રીતે જુલતા પુલની જવાબદારી સોંપવા માટે પાલિકાના પ્રમુખ કે જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા સર્ક્યુલેટિવ ઠરાવ કેમ કરવામાં આવ્યો ન હતો તે પણ તપાસનો વિષય છે અને સામાન્ય રીતે દરેક નગરપાલિકામાં પાલિકાના પેનલ એડવોકેટ હોય છે પરંતુ મોરબી નગરપાલિકા દ્વારા વર્ષોથી જે વકિલોને પેનલ એડવોકેટમાં રાખવામાં આવ્યા હોય તેમાં કેમ કોઈ સિનિયર વકીલનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો ? તે પણ ચર્ચાનો વિષય છે અને હાલમાં થતી રાજકીય ચર્ચા મુજબ પાલિકાના અધિકારી, પદાધિકારીઓ સહિતનાઓએ રાખેલી બેદરકારી કે કરેલી ભૂલનો ખર્ચ પાલિકાની તીજોરીમાંથી થાય તે કેટલા અંશે વ્યાજબી છે ?