મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં તને કેમ હવા ચડી ગઈ છે તેવું કહીને યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને બે મહિલા સહિત ચાર લોકોએ માર માર્યો
SHARE
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં તને કેમ હવા ચડી ગઈ છે તેવું કહીને યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને બે મહિલા સહિત ચાર લોકોએ માર માર્યો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરમાં રહેતા યુવાનને તને કેમ હવા ચડી ગઈ છે તેમ કહીને બે મહિલા સહિત ચાર લોકોએ લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરીને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાન અને અન્ય બે વ્યક્તિ આમ કુલ ત્રણ ઇજાગ્રસ્તોને સારવારમાં લઇને આવેલ હતા અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં બે મહિલા સહિત ચાર લોકોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રામદેવપીરના મંદિર સામે રહેતા ઋષિભાઈ દિનેશભાઈ ચાવડા (ઉંમર વર્ષ ૨૪) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ હનાભાઈ ચાવડા, હકાભાઇ હનાભાઇ ચાવડા, મનિષાબેન હનાભાઈ ચાવડા અને કુસુમબેન હનાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે ઇન્દિરાનગર વિસ્તારમાં અબ્બાસભાઈની દુકાન પાસે ઉભો હતો ત્યારે તને કેમ હવા ચડી ગઈ છે તેવું કહીને તેને મનસુખભાઈ હનાભાઈ ચાવડાએ ગાળો આપી હતી અને ડાબા હાથના ખભા ઉપર તથા છાતીના ભાગે છરી વડે હુમલો કરીને ઇજા કરી હતી. ત્યારબાદ તેની સાથે ઉભેલા બે વ્યક્તિઓ તેને છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો અને યુવાન તથા તેની સાથે રહેલા વ્યક્તિઓ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે મનસુખભાઈ હનાભાઈ ચાવડા, હકાભાઇ હનાભાઈ ચાવડા, મનીષાબેન અને કુસુમબેને ત્યાં આવીને માથાકૂટ કરી હતી અને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કરીને ફરિયાદી સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં આવ્યા હતા અને મારા મારીના આ બનાવની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









