મોરબીના બંધુનગર ગામે મામાને ઘરે વાટકીમાં ભરેલ ઝેરી દવા પી જતાં ભાણેજનું મોત
મોરબીમાં મંદિરમાં ગાળો બોલતા બાળકોને વૃદ્ધે ટપારતા વિધર્મીના ટોળા દ્વારા ઘર-કારમાં તોડફોડ
SHARE
મોરબીમાં મંદિરમાં ગાળો બોલતા બાળકોને વૃદ્ધે ટપારતા વિધર્મીના ટોળા દ્વારા ઘર-કારમાં તોડફોડ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં ગરાસીયા વૃદ્ધના ઘર ઉપર હુમલો કરીને ઘરની બારીના કાચ તેમજ ઘર પાસે પડેલ કારના કાચમાં તોડફોડ કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં ભોગ બનેલ પરિવારના વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસને જણાવ્યું હતું કે તેઓના ઘર નજીક આવેલ મંદિરમાં બાળકો મંદિરમાં ગાળો બોલતા હોય તેઓને મંદિરમાં ગાળો બોલવાની ના પાડી હતી અને મંદિરમાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું તે બાબતનો રોષ રાખીને વિધર્મી લોકો દ્વારા તેઓના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના ઘરની બારીના કાચ ફોડી નાંખીને ઘરની બહાર પાર્ક કરેલ કારના કાચમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને ધમકીઓ આપવામાં આવી હતી.હાલ પોલીસે જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન વ્યતિત કરતા વનરાજસિંહ ભૂપતસિંહ ઝાલા જાતે દરબાર નામના ૬૧ વર્ષના વૃદ્ધે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે જુસબ હબીબ જામ, વલીમામદ હબીબ જામ તથા તેઓની સાથે આવેલા છ અજાણ્યા ઇસમો રહે. બધા વેજીટેબલ રોડ મોરબી-૨ વાળાઓ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અગાઉ તેઓએ સામાવાળાઓના છોકરા કે જેઓ મંદિરમાં જેમ તેમ ગાળો બોલતા હોય તે બાળકોને મંદિરમાં ગાળો બોલવાની ના પાડી હતી અને મંદિરમાંથી ચાલ્યા જવા માટે કહ્યું હતું. તે વાતનો રોષ રાખીને ગેરકાયદેસર મંડળી રચીને ઉપરોક્ત ઈસમો તેઓના ઘરની પાસે આવ્યા હતા અને ત્યાં ઝઘડો કર્યા બાદ ઘરની બહાર પડેલ તેઓની સેલેરીઓ કારના કાચ ફોડી નાંખ્યા હતા તેમજ તેઓના ઘરની બારીના કાચમાં છૂટા પથ્થરોના ઘા કરીને બારીના કાચ પણ તોડી નાંખવામાં આવ્યા હતા તેમજ તેઓને ધમકીઓ આપવામાં આવી હતી. હાલ વનરાજસિંહ ઝાલાની ફરિયાદ ઉપરથી બી ડિવિઝન પોલીસે જુસબ હબીબ જામ, વલીમામદ હબીબ જામ તથા તેની સાથેના તેના છ સાગ્રિતો એમ કુલ આઠ સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.જેમાં કલમ ૧૪૩, ૧૪૭,૧૪૮, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), અને ૧૩૫ સહિતની કલમો હેઠળ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હોય હાલમાં બી ડિવિઝન પીએસઆઇ જે.એલ.ઝાલા ઉપરોક્ત બનાવની આગળની તપાસ ચલાવી રહ્યા છે.
અકસ્માતમાં ઇજા
મોરબી શહેરમાં મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસે રહેતો મનોજ દેવશીભાઈ નામનો ૪૫ વર્ષનો યુવાન મોરબીના સનાળા રોડ પર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ વાહન અકસ્માતના બનાવવામાં મનોજને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
વૃદ્ધને ઇજા
માળીયા મીયાણા હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માળિયા મિયાણા ખાતે રહેતા કાદરભાઈ હાજીભાઈ (ઉંમર ૬૦) નામના વૃદ્ધને ઈજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર માળિયા મીયાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં તે બેભાન હાલતમાં હોય તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને હાલમાં જાણ કરવામાં આવી છે જેથી હવે માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવશે