મોરબીમાં ટ્રેડિંગનું કામ કરતો યુવન વ્યાજખોરોના ત્રાસથી ઘર મૂકીને ચાલ્યો ગયો !
SHARE
મોરબીમાં ટ્રેડિંગનું કામ કરતો યુવન વ્યાજખોરોના ત્રાસથી ઘર મૂકીને ચાલ્યો ગયો !: ત્રણ શખ્સો સામે નોંધાયો ગુનો
મોરબીમાં વ્યાજના દૂષણમાં બેફામ વધારો થઈ રહ્યો છે તેવામાં મોરબીના કંડલા બાઇપાસ રોડ ઉપર આવેલ અંજલી એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને ટ્રેડિંગના કામકાજ માટે રૂપિયાની જરૂર હોય વ્યાજે રૂપિયા લીધા હતા અને તેની સામે તોતિંગ વ્યાજ ચૂકવતો હતો તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી યુવાન પોતાનું ઘર છોડીને છેલ્લા ૨૫ દિવસથી ગુમ થઈ ગયેલ છે અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગતો નથી ત્યારે ગુમ થયેલા યુવાનની વૃદ્ધ માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ત્રણેય વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનિયમ પાર્ટી પ્લોટ પાસે અંજલી એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૪૦૨ માં રહેતા મણીબેન ચંદુભાઇ લાલવાણી જાતે સિંધી (ઉંમર ૭૨) એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ ચેતનભાઇ અમલાણી રહે શક્તિ પ્લોટ મોરબી, સલીમભાઈ દિમહંમદભાઈ બગથરીયા રહે કાયાજી પ્લોટ મોરબી અને કમલેશભાઈ વસંતભાઈ પોપટ રહે. કામધેનુ પાર્ટી પ્લોટ પાસે અંજલી એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો દીકરો ભાવેશ ચંદુભાઈ અમલાણી ટ્રેડિંગનું કામકાજ કરતો હતો જેથી કરીને તેને રૂપિયાની જરૂર પડેલ હોય તેને સૌ પ્રથમ મહેશભાઈ પાસેથી વ્યાજે પાંચ લાખ રૂપિયા લીધા હતા ત્યારબાદ તેણે સલીમભાઈ પાસેથી ૩ લાખ વ્યાજે લીધા હતા અને તે બંનેને ઊંચું વ્યાજ તે ચૂકવતો હતો તેમ છતાં પણ તે બંને તેને મારી નાખવાની ધમકી આપતા હતા અને કમલેશભાઈ પોપટ પાસેથી તેણે ૧૦ ટકાના વ્યાજ લેખે રૂપિયા લીધા હતા જો કે કેટલા રૂપિયા લીધા હતા તે અંગે ભાવેશ ઘર મૂકીને ચાલ્યો ગયો ત્યારે જે ચિઠ્ઠી લખી છે તેમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી જેથી કરીને ભાવેશ આવશે ત્યાર પછી ખબર પડશે કે કમલેશભાઈ પોપટ પાસેથી કેટલા રૂપિયા ભાવેશે લીધા હતા જોકે આ ત્રણેય વ્યાજખોરો દ્વારા ફરિયાદી વૃદ્ધાના દીકરાને વારંવાર મારવાની ધમકીઓ આપવામાં આવતી હતી જેથી કરીને યુવાન ગત તા.૧૨/૧૨/૨૦૨૨ ના આશરે ચારેક વાગ્યે પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયેલ છે અને તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવે છે આટલું જ નહીં હજુ સુધી યુવાનનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો નથી જેથી કરીને વૃદ્ધાએ વ્યાજખોરો સામે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે અને ઘરેથી ગુમ થઈ ગયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે