મોરબીના રાજપર રોડે અકસ્માતમાં થોરાળા ગામના યુવાનનું મોત
SHARE
મોરબીના રાજપર રોડે અકસ્માતમાં થોરાળા ગામના યુવાનનું મોત
મોરબીના રાજપર અને થોરાળા રોડ ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં થોરાળા ગામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને એકના એક જુવાનજોધ દીકરનું અકાળે મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર અને થોરાળા રોડ ઉપરથી થોરાળા ગામે રહેતો કાનાભાઇ રાણાભાઇ રાઠોડ (૩૦) નામના રબારી યુવાન પોતાના ઘર બાજુ જઇ રહ્યો હતો ત્યારે બોખલીયા હનુમાનજી મંદિર પાસે ટ્રેક્ટરની ટ્રોલીમાં તેનું બાઇક અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને તેમાં તેનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, આ યુવાનના લગ્ન ગત તા. ૧૪ મી ફેબ્રુઆરીના રોજ થયા હતા અને તેની પત્નીના હાથની મહેંદીનો રંગ ભુસાયો નથી ત્યાં માથાનું સિંદુર ભુસાઈ ગયું છે જેથી કરીને રાઠોડ પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે આટલું જ નહીં રાણાભાઇ રાઠોડને કાનાભાઇ એક જ દીકરો હતો જેના અકાળે મૃત્યુથી થોરાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ કાંટા પાસે રહેતો ભાવેશભાઈ કેશવજીભાઈ વાણીયા (૨૩) નામનો યુવાન લખધીરપુર રોડની ગોળાઈ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફિનાઇલ પીધું
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર પાસે ગાયત્રી નગર સોસાયટીમાં રહેતો કિશન વાલજીભાઈ રાઠોડ (૨૧) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર તે ફિનાઇલ પી ગયો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.