મોરબીમાં સગીરાની સાથે દુષ્કર્મ આચારનાર બિલાલ માણેક જેલ હવાલે
મોરબીમાં અદ્યતન ફાયરસ્ટેશન બનાવવાની વારંવારની માંગ પછી પણ આજે ઉદ્યોગકારો-નગરજનો લાચાર !
SHARE
મોરબીમાં અદ્યતન ફાયરસ્ટેશન બનાવવાની વારંવારની માંગ પછી પણ આજે ઉદ્યોગકારો-નગરજનો લાચાર !
સોમનાથ પેપર મિલમાં લાગેલ આગ ૨૪ કલાકે કાબુમાં આવી: અગાઉ સિરામિક એસો., પેપર મિલ એસો., સહિતના સંગઠનોએ કરેલ માંગણીનું સૂરસૂરિયું: કલેક્ટરને આપેલા આવેદનપત્ર પછી પણ કોઈ નક્કર કામ નહીં ? સામાકાંઠે ઓદ્યોગીક વિસ્તાર હોવા છતાં પણ નથી ફાયર સ્ટેશનની સુવિધા
મોરબી જીલ્લો બની ગયો તેને ઘણા વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી લોકોની સલામતી માટે સારા ફાયર સ્ટેશનની સુવિધા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી નથી અને ટાંચા સાધનો તેમજ બીન અનુભવી સ્ટાફ દ્વારા ફાયરની કામગીરી કરવામાં આવી રહી છે જેથી મોરબીના ઔધોગિક વિકાસને ધ્યાનમાં રાખીને સિરામિક એસો., પેપર મિલ એસો. તેમજ કોંગેસના આગેવાનો દ્વારા શહેરના સામાકાંઠે વિસ્તારમાં ઔધોગિક ઝોનની આજુબાજુમાં અદ્યતન ફાયરસ્ટેશન બનાવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી છે જો કે, વર્ષ ૨૦૧૭ થી રજૂઆતો કરવામાં આવે છે તો પણ આજની તારીખે મોરબીમાં અધ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટેની કોઈ કામગીરી કરવામાં આવી નથી અને બે દિવસ પહેલા એક પેપર મિલમાં લાગેલી આગ ૨૪ કલાકે કાબુમાં આવી છે ત્યારે ગેસના બોમ્બ ઉપર વસેલું મોરબી કેટલું સલામત તે સૌથી મોટો સવાલ છે
મોરબી વાંકાનેર ૮-એ નેશનલ હાઇવેની આસપાસમાં સિરામિકની ૮૦૦ થી વધુ ફેકટરીઓ આવેલી છે. જેમાં સિરામીક ટાઇલ્સનું ૨૪ કલાક પ્રોડકશન ચાલુ હોય છે જેથી કારખાનમાં હેવી ટેમ્પરેચર સાથે ભઠ્ઠીઓ ચાલુ હોય છે જેના કારણે સિરામીક યુનિટમાં ગમે ત્યારે આગ લાગે તેવી શક્યતા રહે છે અને અવારનવાર આગ લાગવાના નાના મોટા બનાવો બનતા હોય છે જેના સમયસર બચાવ કામગીરી ન કરવામાં આવે તો મોટી જાનહાની થવાનું જોખમો રહે છે જેથી મોરબી સિરામિક એસો.નાં વર્ષ ૨૦૧૭ ના પ્રમુખો દ્વારા ત્યારના કલેક્ટરને આવેદનપત્ર આપીને સામાકાંઠે ઔદ્યોગિક વિસ્તારમાં હોવાથી ત્યાં નવું અદ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જો કે, હજુ સુધી તે બનાવવામાં આવ્યું નથી તે હક્કિત છે
થોડા સમય પહેલા વાંકાનેર તાલુકાની હદમાં એક મિલમાં ભયંકર આગા લાગી હતી અને લગભગ ત્રણ દિવસ સુધી મોરબી, ચોટીલા, ધ્રોલ, રાજકોટ, અમદાવાદ, ગાંધીધામના ફાયર ફાઇટરો દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કારવામાં આવ્યો હતો તો પણ આગ કાબુમાં આવી ન હતી અને અંદાજે તે કારખાનેદારને ૧૦૦ કરોડથી વધુનું નુકશાન થયું હતું ત્યારે મોરબી પેપર મિલ એસો., મોરબી સિરામિક એસો. સહિતના સંગઠનો દ્વારા મુખ્યમંત્રી, ત્યારના રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવભાઈ મલામણે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી અને છેલ્લે જે રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું તે પહેલા મોરબી સિરામિક એસો. દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરાને મોરબી જીલ્લામાં અધ્યતન ફાયર સ્ટેશન આપવામાં આવે તેના માટેની લેખિત રજૂઆત કરીને માંગ કરવામાં આવી હતી પરંતુ તેને સરકારમાં કોઈએ ધ્યાને લીધેલ નથી
છેલ્લા વર્ષોમાં મોરબી જીલ્લામાં આગ અકસ્માતની ઘટનામાં ફાયરના ટાંચા સાધાનો હોવાના લીધે ઉધોગકારોને લાખો નહીં કરોડો રુપિયાનું નુકશાન થયું છે તે હક્કિત છે ત્યારે વારંવાર ઉદ્યોગકારોને સહન કરવી પડતી નુકશાનીમાંથી કાયમી રાહત માટે મોરબી જીલ્લામાં અધ્યતન ફાયર સ્ટેશન આપવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે આજની તારીખે મોરબી જીલ્લામાં કોઈ પણ જગ્યાએ આગા અકસ્માતની ઘટના બને ત્યારે વધુ નુકશાન થવા પાછળનું મુખ્યકારણ મોરબી શહેર તથા જીલ્લામાં ફાયરબ્રિગેડની અપૂરતી સુવિધા છે તેવુ અહીના ઉદ્યોગકારો કહી રહ્યા છે કેમ કે આખા જીલ્લામાં ફાયરના માત્ર ત્રણ જ વાહન મોરબી પાલિકા પાસે છે જે શહેરના ટ્રાફિકને ક્રોસ કરીને ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો મોટાભાગનો માલ બળીને ખાખ થઇ જાય છે
છેલ્લે લાગેલી આગને કાબુમાં લેવા માટે મોરબી જિલ્લા ઉપરાંત બીજા જિલ્લાઓમાંથી ફાયરના વાહનોને મોરબી મંગાવવા પડ્યા હતા ત્યારે આગા કાબુમાં આવી હતી તે અહીના અધિકારીઓએ અને પદાધિકારીઓ સારી રીતે જાણે છે તો પણ મોરબીના ઔધોગિક વિસ્તારમાં આવી કોઇ દુર્ઘટના સર્જાઇ ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી કરી શકાય તે માટે ફાયરબ્રિગેડની સારી સુવિધાઓ કરવામાં આવી નથી અને જો તંત્ર આ બાબતે સમયસર નહીં જાગે તો આગામી સમયમ મોટી હોનારત સર્જાય તો નવાઈ નથી. હાલમાં લીલપર ગામ પાસે સોમનાથ પેપર મિલમાં જે આગ લાગી હતી તેને કંટ્રોલ કરવા માટે મોરબી અને રાજકોટના પાંચ ફાયર ફાઇટરો દ્વારા ૨૪ કલાક સુધી પાણીનો મારો કરવામાં આવ્યો ત્યારે માંડ માંડ આગ કાબુમાં આવી છે જેથી કરીને મોરબીના વિકાસને જોતાં અહિયાં આજની તારીખે ફાયરની સુવિધાના નામે મીંડું છે તેવું કહીએ તો જરાપણ અતિશયોક્તિ નથી અને જયારે પણ કુદરતી કે ક્રુત્રીમ આફત આવે ત્યારે લોકો લાચાર બની જાય છે