વાંકાનેરના ઢુવા પાસે ડેમુ ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત
મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં મરચાની ભૂંકી છાંટીને સોના-ચાંદીના મુદ્દામાલની લૂંટમાં આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં મરચાની ભૂંકી છાંટીને સોના-ચાંદીના મુદ્દામાલની લૂંટમાં આરોપીની ધરપકડ
મોરબી તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં લુંટાવદર ગામ પાસે વર્ષ ૨૦૧૮ માં લૂંટનો બનાવ બન્યો હતો.જેમાં સોની વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને આઠેક કિલો ચાંદી તથા ત્રીસેક ગ્રામ સોનુ મળીને આસરે ૨.૧૦ લાખની મતાની જેતે સમયે લૂંટ ચલાવવામાં આવી હતી જે ગુનામાં પાંચ શખ્સોની સંડોવણી ખુલી હતી.જેમાં અગાઉ ચાર લુંટારૂઓની ધરપકડ થઈ ગઈ હતી જેમાં એક નાસ્તો ફરતો હોય અને તે હાલ રાજકોટ જેલમાં હોવાની બાતમી મળતા ત્યાંથી તેનો કબ્જો લઈને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો અને રીમાન્ડ પુરા થતા પુન: જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એસ.એન.સગારકા તથા રાયટર વિજયભાઈ સવસેટા પાસેથી મળતી માહિતી પ્રમાણે, મોરબીના નવલખી હાઇવે લુંટાવદર ગામ નજીક વર્ષ ૨૦૧૮ માં લૂંટનો બનાવ સામે આવ્યો હતો જેમાં ધીરજભાઈ સોની નામના વેપારીને આંતરીને તેની આંખમાં મરચાની ભૂંકી છાંટી આઠેક કિલો ચાંદી તથા ત્રીસેક ગ્રામ જેટલું સોનુ મળીને આશરે ૨.૧૦ લાખની મતાની જે તે સમયે લૂંટ ચલાવવામાં આવી હતી.જે બનાવમાં અગાઉ ચાર શખ્સોની ધરપકડ થઈ ચૂકેલ છે અને નાસતો ફરતો ખુમાન ઉર્ફે ભિમસિંગભાઈ મસાર જાતે આદિવાસી (ઉમર ૨૫) રહે.ખરબપડી તાલુકો ગંધવાણી જિલ્લો ધાર મધ્યપ્રદેશ હાલ રહે.જાંબુડીયા ફિનિક્સ સિરામિક મોરબી વાળો ઉપલેટાની ચોરીના ગુનામાં હાલ રાજકોટ જેલ હવાલે હોવાની વાત મળી હતી જેથી પોલીસે રાજકોટ જેલ ખાતેથી ખુમાન મસારનો કબ્જો મેળવ્યો હતો અને એક દિવસના રિમાન્ડ ઉપર લીધો હતો અને રિમાન્ડ પુરા થતા તેને પુનઃ રાજકોટ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું તાલુકા પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.
ભોગ બનેલ યુવતી આરોપી સાથે મળી આવી
મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના સાગર જિલ્લાના રહેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુવતીનું અપહરણ થતા ત્યાં નોંધાયેલ અપરણના ગુનામાં ભોગ બનેલ યુવતી આરોપી સાથે મોરબી હોવાની બાતમી મળતા યુવતીના ભાઈ સહિતનાઓ મોરબી આવ્યા હતા અને સ્થાનીક પોલીસને સાથે રાખીને તપાસ કરવામાં આવતા મોરબીના શનાળા ગામે આવેલ રાજપર રોડ ઉપરના એક કારખાનામાંથી મધ્યપ્રદેશમાંથી અપહરણ કરાયેલ યુવતી આરોપી વિક્રમ સંતોષભાઇ આદિવાસી મૂળ રહે.એમપી હાલ રહે.રાજપર રોડ શનાળા મોરબી વાળા સાથે મળી આવતા તે બંનેને હસ્તગત કરીને તપાસના કામે મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના બાદનપર ગામે રહેતા ગીતાબેન શાંતિલાલ વેગડ નામના ૫૫ વર્ષીય આધેડ મહિનાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા મોરબીની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે આમરણ ગામના બસ સ્ટેશન પાસેથી ગીતાબેન વેગડ મોટરસાયકલમાં બેસીને જતા હતા ત્યારે તેઓના મોટરસાયકલની આડે અચાનક કૂતરું આડુ ઉતરતા અકસ્માત બનાવ બન્યો હતો અને બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ગીતાબેનને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.જે અંગે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.