મોરબીના વીસી ફાટક નજીક મારામારીમાં ચારને ઈજા
SHARE
મોરબીના વીસી ફાટક નજીક મારામારીમાં ચારને ઈજા
મોરબીના વીસી ફાટક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચાર લોકોને ઈજા થવાથી સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વીસીપરામાં જ આવેલ કુલીનગર વિસ્તારમાં રહેતા આલમખાન મહમદખાન મલેક (૨૩), હજુરૂદ્દીન અવેશભાઈ માલાણી (૨૦), અરહાન યુસુફ મોવર (૨૫) અને જાવેદ મોવર (૨૫) ને મારામારીમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બાદમાં બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા તપાસ માટે પહોંચ્યા હતા.જ્યાં ઇજાગ્રસ્તોએ પોલીસને જણાવ્યું હતું કે રાત્રિના બે વાગ્યાના અરસામાં તેઓ વીસી ફાટક પાસે ઉભા હતા ત્યારે પાંચ-છ લોકો દ્વારા તેઓને કોઈ બાબતે માર મારવામાં આવ્યો હતો હાલ કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો તે સામે આવ્યું નથી.જ્યારે મોરબીના વીસીપરામાં જ આવેલ કુલીનગર વિસ્તારમાં રહેતા નૂરજહાબેન આશિફભાઈ વાઘેર નામની ૨૬ વર્ષીય મહિલા તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.
એલસીબીએ શંકાસ્પદ બાઇક સાથે એકને પકડ્યો
મોરબી એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાનમાં મોરબીના વીસીપરા વિસ્તારમાંથી નીકળ્યો હતો ત્યારે ત્યાંથી ગ્રે કલરનું સીવી હોર્નેટ બાઈક નંબર જીજે ૨૭ સીએ ૪૭૨૮ લઈને નીકળેલા ઈસમની પાસે તે બાઈકના કાગળ માગવામાં આવતા તે ઇસમ ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો અને પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ બિલાલ દાઉદ ભટ્ટી મીયાણા (૨૨) રહે.વીસીપરા બિલાલી મસ્જિદ પાસે મોરબી વાળો હોવાનું જણાવતા હાલ તેની પાસેથી રૂા.૨૦ હજારની કિંમતનું ઉપરોક્ત નંબરનું બાઈક જપ્ત કરીને આ બાઈક કોનું છે..? તેમજ ચોરી કે છળ કપટથી મેળવેલ છે કે કેમ..? તે દિશામાં પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ત્રાજપર ચોકડી પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી આ બનાવની અંદર બાઈક લઈને જઈ રહેલા કમલ કેહરસિંગ રાવત (૪૧) રહે.શિવધારા એપાર્ટમેન્ટ વૃંદાવન સોસાયટી તથા દલભાઈ બલભાઈ કામી (૫૦) રહે.મોરબી સામાકાંઠે વૃંદાવન સોસાયટી વાળાઓને ઈજા થતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરએ તપાસ હાથ ધરી હતી.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જલારામ પાન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા થતાં તેજસ કિશોરભાઈ કવૈયા (૩૨) રહે. ભક્તિનગર શેરી નંબર-૧ શનાળા રોડ વાળાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ બાબતે સિવિલ હોસ્પિટલ તરફથી જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.









