મોરબીના જોધપર ગામે ખુલ્લા પ્લોટમાં રાખવામા આવેલ ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનારા આરોપીની ધરપકડ
અકાળ મૃત્યુને રોકવાનો એક ઉપાય પ્રાકૃતિક ખેતી, ગુજરાતના ૯ લાખ ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી: આચાર્ય દેવવ્રતજી
SHARE
અકાળ મૃત્યુને રોકવાનો એક ઉપાય પ્રાકૃતિક ખેતી, ગુજરાતના ૯ લાખ ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી: આચાર્ય દેવવ્રતજી
ગુજરાત પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, આણંદ, હિન્દુસ્તાન એગ્રીકલ્ચર રિસર્ચ વેલ્ફેર સોસાયટી તથા આઇ.આઇ.એમ.ટી. મેરઠના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ ‘ભારતીય કૃષિના પરિપ્રેક્ષમાં પ્રાકૃતિક તેમજ જૈવિક ખેતી વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલન’માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરી ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા. ‘પ્રાકૃતિક વિરુદ્ધ જૈવિક ખેતી’ વિષય પર યોજાયેલ ઉદ્ઘાટન સત્રમાં પ્રાકૃતિક કૃષિ વિશે પોતાના વિચારો જણાવીને રાજ્યપાલે આંતરરાષ્ટ્રીય સંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સમગ્ર વિશ્વની જરૂરિયાત છે. જેને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના અંતરને સમજવું જરૂરી છે. જૈવિક ખેતીમાં છાણ અને ગૌમુત્રની વધારે જરૂરિયાત રહે છે. જમીનમાં વધારે છાણ નાખવાને કારણે મિથેન ગેસ ઉત્પન્ન થાય છે જે પર્યાવરણ માટે હાનિકારક છે. વળી જૈવિક ખેતીમાં ઉત્પાદન પણ શરૂઆતમાં ઘટે છે. આથી જેવી ખેતી ખર્ચાળ હોવાને કારણે ખેડૂતોને પરવડતી નથી. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ઓછી માત્રામાં ગૌમુત્ર અને છાણની જરૂરિયાત રહે છે. વળી પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત બનાવવા માટે બધા જ તત્વો ખેડૂતને પોતાના ઘરમાંથી જ ઉપલબ્ધ બનતા હોવાથી ખર્ચ ઘટે છે. જમીનની ફળદ્રુપતા વધતા ઉત્પાદનમાં પણ કોઈ ઘટાડો નોંધાતો નથી. જેથી ખેડૂતની આવક વધે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યના ૯ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવવાથી પ્રદૂષણ ઓછું થાય છે તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પન્ન થયેલો પાક આહારમાં લેતા સ્વાસ્થ્ય પણ સારું રહે છે. રાસાયણિક ખેતી પદ્ધતિથી ખર્ચ વધુ થાય છે. ઉપરાંત યુરિયા અને ડીએપી જેવા ખાતરોની આયાત કરવી પડે છે. આ ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. ફળ, ફૂલ, શાકભાજીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. રાજ્યપાલએ કોન્ફરન્સમાં જોડાયેલા તમામ કૃષિ વૈજ્ઞાનિકોને પણ ખેતી અંગે વધુમાં વધુ રિસર્ચ કરવા અપીલ કરી હતી. અકાળ મૃત્યુને રોકવાનો એક ઉપાય પ્રાકૃતિક ખેતી છે.
વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં ઉપસ્થિત રહેલ તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ તથા કૃષિ વૈજ્ઞાનિકોએ એક સ્વરે જણાવ્યું હતું કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. હવા, પાણી, પર્યાવરણ, ધાન્ય તથા જૈવ વૈવિધ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતીથી સરળ બીજો એકપણ ઉપાય નથી. ગ્લોબલ વોર્મિંગ, ગરીબી, ભૂખમરો, અન્નની અછત વગેરે જેવી અનેક વૈશ્વિક સમસ્યાઓને દૂર કરવા પ્રાકૃતિક ખેતી મહત્વનું પરિબળ છે. આ બેઠકમાં મહારાણી લક્ષ્મીબાઈ કૃષિ યુનિવર્સિટી ઝાંસીના કુલપતિ ડૉ. એ.કે. સિંઘ, ગુજરાત પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન વિશ્વવિદ્યાલય આણંદના કુલપતિ શ્રી ડૉ.સી.કે. ટીંબડીયા, આઈ.આઈ.એમ.ટી. વિશ્વ વિદ્યાલયના ખેતી વિભાગના ડીન ડૉ. લાખન સિંહ, ડૉ.અનિલ ચૌધરી, કાલસીધેશ્વર સ્વામીજી, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના કૃષિ વૈજ્ઞાનિકો તથા વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.