મોરબીના ખાખરાળા ગામે બે બંધ મકાનોમાંથી ધોળા દિવસે રોકડ-દાગીના મળીને ૧૫ લાખથી વધુના મુદામાલની ચોરી
SHARE
મોરબીના ખાખરાળા ગામે બે બંધ મકાનોમાંથી ધોળા દિવસે રોકડ-દાગીના મળીને ૧૫ લાખથી વધુના મુદામાલની ચોરી
મોરબી જિલ્લામાં પોલીસના દ્રારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે છે જો કે, તેની સાથોસાથ દિવસે પણ જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે તેવામાં પોલીસની કામગીરીના ધજાગરા થતા હોય તેવો ઘાટ મોરબી તાલુકામાં સર્જાયો છે.જેમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે બે બંધ મકાનોને અજાણ્યા શખ્સો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે અને ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને અંદાજે ૧૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે જોકે, આ બનાવની હજુ સુધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ નથી.
મોરબીના જુદા જુદા વિસ્તારોમાં મારામારી, હુમલા, જીવલેણ હુમલા, ચોરી, ઘરફોડ ચોરી, વાહન ચોરી વગેરે જેવી ઘટનાઓ રોજિંદી બની ગઈ હોય તેવો ઘાટ હાલમાં જીલ્લામાં જોવા મળી રહ્યો છે તેવામાં પોલીસના નાઈટ પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરીના ધજાગરા થાય તેવી ઘટના મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે બની હોવાની ચર્ચા ગ્રામજનોમાં થઈ રહી છે. હાલમાં ગામમાં લોકોમાં થઈ રહેલી ચર્ચા મુજબ ખાખરાળા ગામે રહેતા રહીમભાઈ આલીભાઇ સુમરા તથા તેમના ભાઈ મુસ્તાકભાઈ આલીભાઇ સુમરાના બંધ મકાનને અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે અને આ બંનેના મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળીને લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે.જોકે ચારેક દિવસ પહેલા બનેલ આ ઘરફોડ ચોરી અંગે હજુ સુધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાઇ નથી !
વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રહીમભાઈ આલીભાઈ સુમરા અને તેના ભાઈ મુસ્તાકભાઈ આલીભાઇ સુમરા તેઓના મામાના દિકરા હનીફભાઈ સુમરાની દીકરીના ગત તા. ૨૪-૧૨ ના રોજ લગ્ન હોય મોરબી આવ્યા હતા અને સવારના સાત વાગ્યાથી લઈને બપોરના સાડા ચાર વાગ્યા સુધી તે બંનેના ઘર બંધ હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ધોળા દિવસે તે બંનેના મકાનોને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને લાખો રૂપિયાનો મુદામાલ બંનેના ઘરમાંથી ચોરી કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.વધુમાં લોકોમાં થતી ચર્ચા મુજબ રહીમભાઈના ઘરમાંથી રોકડા રૂપિયા ૬ (છ) લાખ અને સોનાના દાગીના અને બાળકોએ બચત કરેલી રકમ તેમજ મુસ્તાકભાઈના ઘરમાંથી પણ રોકડા રૂપિયા અને સોનાની બુટ્ટી વિગેરે મુદ્દામાલ મળીને કુલ અંદાજે ૧૫ લાખના મુદામાલની ચોરી થયેલ છે.
જોકે આ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ! અને ત્યારબાદ ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્કવોડની મદદથી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવશે તેવું ભોગ બનેલ પરિવારને કહેવામા આવ્યું હતું. ત્યાર બાદ ડોગ સ્કવોડ પણ બોલાવવામાં આવી હતી તેવું ગામના લોકો પાસેથી જાણવા મળેલ છે જો કે, ગત તા.૨૪-૧૨ ના રોજ ચોરીની ઘટના બની હતી અને આજ ચાર દિવસ સુધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કેમ નોંધાઈ નથી..? તે સૌથી મોટો સવાલ છે અને સૌથી મોટી વાત એ છે કે, સવારના સાત વાગ્યાથી બપોરના સાડા ચાર વાગ્યા દરમિયાન એટલે કે ધોળા દિવસે ગામમાં બે મકાનની લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.