મોરબીના જાંબુડિયા ગામ પાસે પડી જવાથી માથામાં હેમરેજ થયેલ યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબીના જાંબુડિયા ગામ પાસે પડી જવાથી માથામાં હેમરેજ થયેલ યુવાનનું સારવારમાં મોત
મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલ ડેલ્ટા સીરામીક કારખાના તરફ જવાના રસ્તા ઉપર તાણ આંચકી આવતા યુવાન પડી ગયો હતો.જેથી કરીને તેને માથામાં ડાબી બાજુએ ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે તેની માતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને દાખલ કર્યો હતો જોકે યુવાનને માથામાં હેમરેજ જેવી ઈજા થઈ ગયેલી હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.જેથી મૃતક યુવાનની માતાએ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગર શેરી નંબર-૨ માં રહેતા કિશનભાઇ વાલજીભાઈ ખડોલા (ઉમર ૩૫) નામનો યુવાન મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ તળાવના ડેલ્ટા સિરામિક કારખાના તરફ જવાના કિનારા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેને તાણ આંચકી આવતા તે રસ્તા ઉપર પડી ગયો હતો અને તેને માથામાં ડાબી બાજુએ ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે તેની માતા જીવીબેન વાલજીભાઈ ખડોલા (ઉમર ૭૦) મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં સારવાર માટે તેને દાખલ કર્યો હતો જો કે યુવાનને માથામાં હેમરેજ જેવી ઈજાઓ થયેલી હોવાથી ડોક્ટર દ્વારા તેને સીટીસ્કેન કરાવવાની સલાહ આપવામાં આવી હતી.જોકે તેઓએ સીટીસ્કેન કરાવ્યું ન હતું અને દરમિયાન સારવારમાં તા.૯ ના રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં સિવિલ હોસ્પિટલ ખાતે કિશનભાઇનું મોત નિપજ્યું હતું.જેથી આ બનાવની મૃતક યુવાનની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા મારામારી
મોરબીના ટંકારામાં જબલપુર રોડ ઉપર આવેલ કારખાનામાં મારામારીના બનાવમાં ઈજા થતા આધેડને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. મોરબી એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ટંકારાના જબલપુર રોડ ઉપર આવેલ વિજય બિલ્સેક નામની ફેક્ટરીની અંદર કામ દરમિયાન મારામારીમાં ઈજા થતાં પ્રવીણભાઇ ધરમશીભાઈ સોલંકી નામના ૬૪ વર્ષના આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.જેથી અહીંના વિ.કે.પટેલે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.
યુવાન સારવારમાં
મોરબીની અવની ચોકડી પાસે આવેલા વાડી વિસ્તારમાં રહેતા નવઘણભાઈ ભીમજીભાઈ ડાભી નામના ૪૫ વર્ષના યુવાનને કોઈ અજાણ્યુ ઝેરી જનાવર કરડી જતા અર્ધ બેભાન હાલતમાં તેને અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ આ સંદર્ભે સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા હરેશભાઈ ચાવડાએ નોંધ કરીને બનાવ અંગે તપાસ કરી હતી.