વાઇબ્રન્ટ સમીટના 20 વર્ષ થતાં ભારત સરકારે બહાર પડેલ રૂપિયા 20 નો પહેલો સિક્કો મોરબીમાં
મોરબીમાં મુખ્યમાર્ગ-ચોકમાંથી લારી, ગલ્લા પથારણા અને રિક્ષાવાળાના દબાણો હટાવવા સીએમ-પીએમને રજૂઆત !
SHARE
મોરબીમાં મુખ્યમાર્ગ-ચોકમાંથી લારી, ગલ્લા પથારણા અને રિક્ષાવાળાના દબાણો હટાવવા સીએમ-પીએમને રજૂઆત !
મોરબી શહેરના રોડ રસ્તાઓ ઉપર અને મુખ્ય હાર્દ સમાન ચોકમાં લારી, ગલ્લા પથારણા અને રિક્ષાવાળાના દબાણો દિવસેને દિવસે વધી રહ્યા છે અને અવારનવાર તે લોકો અંદરો અંદર ઝઘડતા હોય છે તેમજ ત્યાં વાહનચાલકો સહિતનાઓની સાથે માથાકૂટ કરતા હોય તેવું ઘણી વખત બનતું હોય છે. તેમ છતાં પણ દબાણ દૂર કરવા માટેની લેસમાત્ર કામગીરી નગરપાલિકા કે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી નથી અને કલેક્ટર સુધી રજૂઆતો કરવામાં આવે તો પણ કોઈ પરિણામ મળતું નથી. જેથી આ બાબતે હાલમાં રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ દબાણ દૂર થશે કે કેમ કે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.
મોરબી શહેરના દરેક મુખ્ય માર્ગ ઉપર આડેધડ લારી, ગલ્લા અને પથારણાના દબાણ છે જે જવાબદાર અધિકારીઓને દેખાતા નથી !? અને રીક્ષા ચાલકો પણ બેફામ રીતે પોતાની રીક્ષાઓ રોડ વચ્ચે આડી ઊભી રાખીને ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા કરતા હોય છે તેમ છતાં પણ તેની સામે ટ્રાફિક પોલીસ દ્વારા નકકર કામગીરી કરવામાં આવતી નથી ? જેથી કરીને વાહન ચાલકો, વેપારીઓ સહિતના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ બાબતે અગાઉ જિલ્લા અને તાલુકા સ્વાગતમાં લેખિત અરજી ફરિયાદો કરવામાં આવી છે અને જે તે સમયે પાલિકાને નિયમ અનુસાર કાર્યવાહી કરીને આ તમામ પ્રકારના દબાણોને રોડ રસ્તા અને મુખ્ય ચોકમાંથી હટાવવા માટે થઈને પ્રાંત અધિકારી અને કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે તેમ છતાં પણ આજની તારીખે દબાણો યથાવત છે.
ત્યારે મોરબીના એક જાગૃત નાગરિક દ્વારા લારી, ગલ્લા પથારણા અને રિક્ષાવાળાના ત્રાસના કારણે મોરબીના લોકો અને વાહન ચાલકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે તેવી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ડીજીપી વિકાસ સહાય, રેંજ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠીને લેખિતમાં ઓનલાઇન અરજી ફરિયાદ કરેલ છે ત્યારે સવાલએ ઉભો થાય છે કે, મોરબીના રોડ રસ્તા ઉપરથી લારી ગલ્લા અને પાથરણાના દબાણો દૂર કરવા અને રીક્ષા ચાલકોની કનડગતને દૂર કરવા માટે થઈને અધિકારીઓ દ્વારા કેમ કામ કરવામાં આવતું નથી ?
અહીના અધિકારી કામ કરતાં નથી જેથી કરીને અહીંના લોકોને મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી આવા નાના નાના પ્રશ્નોની રજૂઆત કરવી પડે છે. ત્યારબાદ અહીંનું તંત્ર જાગે છે અને કામ થતું હોય છે. જોકે હાલમાં જાગૃત નાગરિક દ્વારા જે લારી ગલ્લા અને પાથરણા બાબતની વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે તેને ધ્યાને લઈને સ્થાનિક અધિકારીઓ આળસ ખંખેરીને કયારે કામ ઉપર લાગશે. તે આગામી સમય બતાવશે