કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોરબી-હળવદ તાલુકામાં નવનિર્મિત પશુ દવાખાનાઓનું લોકાર્પણ
મોરબીમાં કેબિનેટ મંત્રીના હસ્તે ચાર કરોડના ખર્ચે બનેલ વેટરનરી પોલીક્લીનીકનું લોકાર્પણ
SHARE








મોરબીમાં કેબિનેટ મંત્રીના હસ્તે ચાર કરોડના ખર્ચે બનેલ વેટરનરી પોલીક્લીનીકનું લોકાર્પણ
મોરબી જિલ્લા કક્ષાની વેટરનરી પોલીક્લીનીકનું રૂ.ચાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ વેટરનરી પોલીક્લીનીકમાં ડોગ ક્લિનિક, એનિમલ સર્જરી રૂમ, પીવાનું ઠંડુ પાણી, શેડ, ૨૪ કલાક વીજળી, પશુઓ માટે લેબોરેટરી, ઘાસચારો, દવાઓ અને ડોક્ટર્સની ટીમ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, પશુપાલન અને ડેરી ક્ષેત્રને વધુ આત્મનિર્ભરતા તરફ લઈ જવાની દિશામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલ વિવિધ કાર્યક્રમો રાજ્યના દૂધ ઉત્પાદનમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારા માટેનું હકારાત્મક પરિબળ સાબિત થયું છે, તેમ કૃષિમંત્રીએ આ પ્રસંગે ભાવના વ્યક્ત કરી હતી. વર્ષ ૨૦૨૨- ૨૩ અને વર્ષ ૨૦૨૩- ૨૪ એમ છેલ્લા ૨ વર્ષમાં મોરબી જિલ્લા માટે ૧૧ નવા સ્થાયી પશુ દવાખાના મંજુર કરવામાં આવ્યા છે. તેમજ પશુ રોગ નિદાનની સુવિધા માટે ચાલુ વર્ષ ૨૦૨૪- ૨૫ માં મોરબી જિલ્લામાં પશુ રોગ અન્વેષણ લેબોરેટરી મંજુર થઈ હોવાનું અને કૃત્રિમ બીજદાન દ્વારા પશુઓમાં વૈજ્ઞાનિક ઢબે સંવર્ધન પ્રવૃત્તિને વેગ મળે તે માટે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ ૨૫ નવા ઉપકેન્દ્રો મંજુર કરવામાં આવ્યા છે. આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા અને કાંતિલાલ અમૃતીયા, રાજ્યના પશુપાલન નિયામક ડો.ફાલ્ગુની ઠાકર, જિલ્લા પંચાયત પશુપાલન શાખાના અધિકારીગણ, કર્મચારીગણ હાજર રહ્યા હતા.

