મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
SHARE








મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં ખૂબ ભારે વરસાદ થયો હતો અને અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ છેલ્લા દિવસોમાં પણ વરસાદ પડ્યો છે જેથી કરીને ખેડૂતો અને ખેતીની હાલત દયનીય બની ગઈ છે તેમ છતાં પણ સરકાર તરફથી હજુ રાતી પાઈનું વળતર ચૂકવવામાં આવ્યું નથી જેથી ખેડૂતોને વહેલામાં વહેલી તકે વળતર સરકાર તરફથી ચૂકવવામાં આવે તેવી ખેડૂતો અને આગેવાનોની માંગ છે.
મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા સામાન્ય રીતે ચોમાસા પહેલા કપાસ અને મગફળીના પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે અને દર વર્ષે ચોમાસામાં વરસાદ વધુ પડે તો પણ મોરબી જિલ્લામાં નુકસાની થતી હોય છે અને ઓછો પડે તો પણ ખેડૂતોને નુકસાની સહન કરવી પડતી હોય છે ત્યારે જો વાત કરીએ તો ચાલુ વર્ષે ચોમાસામાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ભારે વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારમાં હતો અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ખેડૂતોના ખેતરોની અંદર એક થી લઈને પંદર દિવસ સુધી વરસાદી પાણી ભરાયેલા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી સહિતના જે પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું તે વાવેતર નિષ્ફળ ગયું હતું તેમ મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી અમુભાઈ હુંબલે જણાવ્યુ છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ જણાવ્યુ હતું કે, એક વખત પાક નિષ્ફળ ગયેલ હોવાથી ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં બીજી વખત વાવેતર કર્યું હતું પરંતુ ત્યારબાદ પણ છેલ્લા દિવસોમાં પડેલા વરસાદના લીધે ખેડૂતોના વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ગત ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડ્યો હતો ત્યાર પછીથી લઈને લાંબા સમય સુધી સર્વેની કામગીરી ચાલુ હતી અને સર્વેની કામગીરી હજુ તો પૂર્ણ થઇ છે અને વળતર આપવામાં આવ્યું નથી ત્યાં ફરી પાછો વરસાદ આવવાના કારણે ખેડૂતોને ડબલ માર પડ્યો છે જેથી ખેડૂતો અને ખેતીની હાલત દયાનિય બની છે જેથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

