આડા સબંધની અસર: મોરબીમાં પ્રેમીકાને પામવા માટે પત્નીની હત્યા કરનારા પતિ-પ્રેમિકાની ધરપકડ, મહિલા આરોપી જેલ હવાલે
SHARE
આડા સબંધની અસર: મોરબીમાં પ્રેમીકાને પામવા માટે પત્નીની હત્યા કરનારા પતિ-પ્રેમિકાની ધરપકડ, મહિલા આરોપી જેલ હવાલે
આડા સબંધોના લીધે અનેક વખત ઘણા પરિવારના માળા વેરવિખેર થયેલ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં આવો જે એક બનાવ મોરબી તાલુકાનાં જાંબુડિયા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં બનેલ છે જેમાં લેબર ક્વાર્ટરમાં યુવાન તેની પત્ની અને પ્રેમિકાની સાથે રહેતો હતો જો કે, આડા સબંધમાં આડ ખીલલી બનતી પત્નીને યુવાને તેની પ્રેમિકા સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને બાદમાં પોલીસ અને પરિવારને ગુમરાહ કરવા માટેનો પ્લાન બનાવ્યો હતો પરંતુ મૃતક મહિલાના પીએમ રિપોર્ટે હત્યાનો ભાંડો ફોડી નાખ્યો હતો અને આ ગુનામાં પોલીસે આરોપી પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરી હતી અને હાલમાં મહિલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી નજીક જાંબુડિયા ગામ પાસે આવેલ ઓલવિન સિરામિકમાં થયેલ હત્યાના આ બનાવ સંદર્ભે મૃતક પાયલના પિતા અર્જુનસિંહ મોડાજી નાયકની ફરિયાદ લઈને પોલીસે મૃતકના પતિ રાહુલ રોડુલાલ નાયક અને તેની પ્રેમિકા રેવાલીબેન રહે. બંને હાલ ઓલવીન સીરામીક લેબર કવાર્ટર જાંબુડીયા વાળની સામે ગુનો નોંધીને બંને આરોપીની તાલુકા પોલીસે ધરપકડ કરેલ છે જો કે, આરોપીઓએ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા માટે થઈને પ્લાન બનાવ્યો હતો અને મહિલાને ઉલ્ટી થતી હતી ત્યારે તે કવાર્ટરમાં ઉપરના માળેથી નીચે પડી જતાં તેનું મોત થયેલ છે તેવું દર્શાવવા માટે હત્યા કરીને લાશને દોરડું બાંધીને ઉપરથી બારીમાંથી નીચે ઉતારી હતી.
ત્યાર બાદ વહેલી સવારે તે કુદરતી હાજતે ગયા ત્યારે ખબર પડી કે તેની પત્નીનું મોત નીપજયું છે તેવી સ્ટોરી ઘડી કાઢી હતી જો કે, મૃતકના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું ત્યારે તેના શરીર ઉપર મારના નિશાન જોવા મળ્યા હતા અને તેને ગળાટુપો આપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેને પાયલની હત્યા કરી હોવાની કબૂલાત આપેલ છે. જેથી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, આરોપી રાહુલ રોડુલાલ નાયક તેની પત્ની પાયલ ઉર્ફે રાની અને તેની પ્રેમિકા રેવાલીબેન સાથે એક જ કવાર્ટરમાં રહેતો હતો અને રાહુલને રેવાલી સાથે આડા સંબંધ હોય તે પોતાની પત્ની પાયલ (20)ને તેની સાથે રાખવા માંગતો ન હતો.
વધુમાં આ બાબતે ડીવાયએસપી પી.એ.ઝાલા ની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપી રાહુલ નાયકે તેની પ્રેમિકા સાથે મળીને પાયલનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. અને બાદમાં પોલીસ અને પરિવારને રાહુલે પહેલા ખોટી માહિતી આપી હતી અને ગુમરાહ કર્યા હતા. જો કે, પીએમ રિપોર્ટે હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો અને બંને આરોપીની પૂછપરછ કરતાં તેને હત્યાની કબૂલાત આપેલ છે. અને તાલુકા પોલીસમાંથી મળતી વિગત મુજબ પકડાયેલ બે આરોપી પૈકી મહિલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આવતી કાલે રાહુલ નાયકને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.