મોરબીમાં વ્યાજના વધુ રૂપિયા પડાવવા માટે કારખાનેદારનું અપહરણ કરનારા પાંચ પૈકીનાં ચાર આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં વ્યાજના વધુ રૂપિયા પડાવવા માટે કારખાનેદારનું અપહરણ કરનારા પાંચ પૈકીનાં ચાર આરોપીની ધરપકડ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરની સામેના ભાગમાં ઉમિયાજી સોસાયટીમાં આવેલા સ્વર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર યુવાને 21 ટકા માસિક વ્યાજ લેખે 3 લાખ રૂપિયા 6 મહિના પહેલા લીધા હતા અને વ્યાજ સહિતની તમામ રકમ પરત આપી દીધી હતી તેમ છતાં પણ તેની પાસેથી વધુ સાત લાખ રૂપિયા પડાવવા માટે યુવાનને પંચાસર રોડ ઉપર આવેલ પાનની દુકાને બોલાવીને યુવનનું પાંચ શખ્સો દ્વારા કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ છરી, ધારિયા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે.
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીની સામેના ભાગમાં ઉમિયાજી સોસાયટીમાં આવેલા સ્વર્ણભૂમિ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવા (31)એ થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આશિષભાઈ આદ્રોજા, આશિષભાઈ સંઘાણી, જીગ્નેશભાઈ કૈલા, ચિરાગભાઈ પટેલ તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મુનનગર ચોક પાસે સોમનાથ એન્ટરપ્રાઇઝ નામનું તેનું કારખાનું આવેલ છે અને ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં તે પોતાના કારખાને હતો ત્યારે આશિષ સંઘાણીએ તેના મોબાઇલમાંથી ફરિયાદી યુવાનને ફોન કરીને તેને પટેલ પાનના ગલ્લા પાસે બોલાવ્યો હતો જેથી કરીને યુવાન તેનું એક્ટિવા લઈને ત્યાં ગયો હતો ત્યારે કાર નંબર જીજે 36 એએલ 1237 ત્યાં ઉભેલ હતી તેમાંથી આશિષ સંઘાણી સહિતના તેમાંથી નીચે આવ્યા હતા અને ફરિયાદી યુવાનનો કાંઠલો પકડીને તેને ગાડીમાં બેસાડવા ધક્કો માર્યો હતો જેથી દેકારો થતાં ચિરાગે ફરિયાદીને મોઢા અને છાતીના ભાગે માર માર્યો હતો અને ફરિયાદીને ગાડીમાં બેસાડીને તેનું અપહરણ કરીને જુદીજુદી જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેને વ્યાજના વધારાના 7 લાખ પડાવવા માટે માર માર્યો હતો.
આ પાંચેય શખ્સો મોરબીના જુના બસ સ્ટેશન પાસે રાત્રિના સમયે ચા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા ત્યારે ફરિયાદી તેની ગાડીનો દરવાજો ખોલીને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. અને આ બનાવની તપાસ કરી રહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એ. ગઢવી તથા તેની ટીમ દ્વારા અપહરણના ગુનામાં પહેલા આશિષ હેમંતભાઈ આદ્રોજા (32) રહે. 602 ગોલ્ડન વ્યૂ એપાર્ટમેન્ટ શક્તિ ટાઉનશીપ રવાપર મોરબી તથા રોહિત ઉર્ફે જીગ્નેશ શંકરભાઈ કૈલા (37) રહે. રાજનગર સોસાયટી હનુમાન મંદિર પાસે પંચાસર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સોને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આ બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દરમિયાન તપાસનીસ અધિકારી અને તેને ટીમ દ્વારા આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવ્યા છે જેમાં કાર્તિક ઉર્ફે જયેશ ઉર્ફે ચકેડી પ્રભુભાઈ રૂપાલા (32) રહે. શ્યામ પાર્ક સોસાયટી શેરી નં-1 પંચાસર રોડ મોરબી અને ચિરાગ ભાઈલાલભાઈ પટેલ (27) રહે. રેવા ટાઉનશિપ સનાળા રોડ મોરબી વાળાનો સમાવેશ થાય છે અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા માટેની તજવીજ ચાલી રહી છે









