મોરબીમાં બિલ્ડરના દીકરા ઉપર ફાયરિંગ, ત્રણ ગોળી લાગતાં યુવાન રાજકોટ સારવારમાં: ફાયરિંગ કોણે અને કયાં કર્યું તે પ્રશ્નાર્થ
SHARE







મોરબીમાં બિલ્ડરના દીકરા ઉપર ફાયરિંગ, ત્રણ ગોળી લાગતાં યુવાન રાજકોટ સારવારમાં: ફાયરિંગ કોણે અને કયાં કર્યું તે પ્રશ્નાર્થ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ નજીકથી ગોળી વાગેલી હાલતમાં બિલ્ડરનો દીકરો ગંભીર હાલતમાં મળી આવ્યો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે જોકે, ફાયરિંગની ઘટના કઈ જગ્યાએ બની તેને લઈને મોરબી અને માળિયા તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. અને જે યુવાનને ગોળી લાગી છે તે હાલમાં સારવાર હેઠળ છે અને તેના શરીરમાંથી બે ગોળી કાઢવામાં આવેલ છે જો કે, એક ગોળી હજુ પણ શરીરમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી શહેર અને જિલ્લામાં હુમલો, હત્યા અને હત્યાનો પ્રયાસ વિગેરે જેવી ઘટનાઓ સામાન્ય બનતી જાય છે તેવો માહોલ છેલ્લા ઘણા મહિનાઓથી જોવા મળી રહ્યો છે. તેવામાં મોરબી નજીકના ખાખરાળા ગામ પાસે ગોળી વાગેલ હાલતમાં મોરબીના બિલ્ડરનો દીકરો કારમાંથી મળી આવ્યો હતો અને તે યુવાને તેના મિત્રને ફોન કર્યો હતો જેથી યુવાનનો મિત્ર ત્યાં આવેલ હતો અને તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તે યુવાનને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે
હાલમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીમાં અવની ચોકડી પાસે કેનાલ રોડ ઉપર આવેલ પ્રમુખ એપાર્ટમેંટમાં રહેતા બિલ્ડર હંસરાજભાઈ ગામીના દીકરા તરૂણ ગામી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેને ગોળીઓ વાગી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે જોકે, બિલ્ડરના દીકરા ઉપર ફાયરિંગ કોણે કર્યું ?, શા માટે કર્યું ?, કઈ જગ્યાએ કર્યું ? આ સહિતના અનેક પ્રશ્નો હાલમાં ઉઠી રહ્યા છે અને તેના જવાબ મેળવવા માટે થઈને મોરબી તાલુકા અને માળિયા તાલુકાના ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
વધુમાં મળતી વિગત પ્રમાણે માળિયાની તાલુકાના મોટા દહીસરા ગામ પાસે ફાયરિંગ થયું હોવાનું ભોગ બનેલ યુવાનને કહ્યું છે અને તેના શરીરમાં ત્રણ ગોળી મારવામાં આવી હતી જેમાંથી બે ગોળી કાઢી લેવામાં આવેલ છે પરંતુ એક ગોળી હજુ પણ શરીરમાં જ છે અને સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, ત્રણ ગોળી વગેલ હોય પછી યુવાન સેલ્ફ ડ્રાઇવિંગ કરીને મોટા દહીસરાથી ખાખરાળા ગામ કે જે બંને વચ્ચે લગભગ 15 થી 18 કિલો મીટર જેટલું છે ત્યાં સુધી ગાડી ચલાવીને આવી શકે તે વાત પોલીસને ગળે ઉતરે તેવી નથી. આટલું જ નહીં ઇજાગ્રસ્ત હાલતમાં યુવાન જ્યાથી મળેલ છે તે ખાખરાળા ગામ તેના સસરાનું ગામ છે તો પણ આ બનાવની જાણ તેના સસરા કે પછી તેના સાળાને કરવામાં આવી ન હતી અને યુવાને મોરબી રહેતા તેના મિત્રને જાણ કરી હતી જેથી પોલીસ દ્વારા આ ઘટનાની જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવે છે
