મોરબીના ત્રાજપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં સંતાનની જન્મ તારીખ અંગે ખોટી માહિતીઓ અપાતી હોવાની હરીફ ઉમેદવારની રાવ
SHARE
મોરબીના ત્રાજપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં સંતાનની જન્મ તારીખ અંગે ખોટી માહિતીઓ અપાતી હોવાની હરીફ ઉમેદવારની રાવ
તાજેતરમાં મોરબી સહિત અનેક જગ્યાઓએ સરપંચ અને સભ્યો સહીતની બોડી માટે ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું લાસ્ટ કાઉન્ટ ટીઉન ચાલી રહ્યુ છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે જાત જાતના ગતકડીઓ ઉમેદવારો અને તેના ટેકેદારો કરી રહ્યા છે ત્યારે વધુ એક ગતકડુ સામે આવ્યું છે જેમાં મોરબીના સામાકાંઠા આવેલ ત્રાજપર ગ્રામ પંચાયતમાં ઉમેદવારે પોતાના રજૂ કરેલા ઉમેદવારી ફોર્મમાં સંતાનની ખોટી ઉંમર દર્શાવી હોય તે અંગે હરીફ ઉમેદવારે તંત્રને લેખિતમાં જાણ કરીને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે.રજૂઆતના પગલે ત્રાજપરની ચુંટણી રસપ્રદ બની છે અને જવાબદાર અધીકારીઓ ઉપર રજૂઆતની ચકાસણી કરીને પગલા લેવાનું ભારણ વધ્યુ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયત માટે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનાર જયંતિભાઈ માધુભાઈ વરાણીયાએ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરેલા તેઓના ઉમેદવારી ફોર્મમાં ચાર સંતાનો હોવાનો ઉલ્લેખ કર્યો છે પરંતુ તેઓના ચોથા સંતાન જયરાજભાઈનો જન્મ વર્ષ ૨૦૦૪ માં થયો હોવાનું જયંતિભાઇએ દર્શાવ્યું છે તે સત્યથી વેગળુ છે તેવી લેખીતમાં તેમના હરીફ એવા સરપંચ પદના ઉમેદવાર જશુબેન પરસોતમભાઈ સાબરીયાએ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયત કચેરીના સંબંધિત સક્ષમ અધીકારીઓને લેખિત રાવ કરેલ છે.
વધુમાં જાણવા મળી રહેલ માહિતી મુજબ જયંતીભાઈ માધુભાઈ વરાણીયાને ચાર સંતાનો છે તેમજ તે અન્વયે એક બાળકનો જન્મ સને ૨૦૦૫ ની સાલ બાદ થયેલ હોવાનું જણાવી ગુજરાત પંચાયત એકટ ૧૯૯૩ની કલમ ૩૦ ( એમ ) મુજબ જો કોઈ વ્યકિતને બે કરતા વધારે બાળકો હોય તો તે પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે ગેરલાયક ઠરશે. પણ જો ઉમેદવારને બે કરતા વધુ સંતાન હોય અને બાળકો તા.૪-૮-૨૦૦૫ પહેલા થયેલ હશે તો તે ગેરલાયક બનશે નહી વધારે બાળકોનો જન્મ એક વર્ષની અંદર થયેલ હશે તો તે વિચારણામાં લેવામાં આવશે નહી (તારીખ ૩-૮-૨૦૦૬ સુધીમાં) વધુમાં જો એક અથવા વધુ બાળકો તા.૩-૮-૨૦૦૬ પછી જન્મેલ હશે તો તે વ્યકિત ગેરલાયક બનશે. તેના નિયમોની ઝેરોક્ષ સાથે હરીફ ઉમેદવાર જશુબેન પરસોતમભાઈ સાબરીયાએ કરેલ છે.
અંતમાં ફરીયાદીએ કરેલ રજૂઆતમાં જણાવાયેલ છેકે જયંતીભાઈ માધુભાઈ વરાણીયાએ રજૂ કરેલ ઉમેદવારી ફોર્મમાં તેઓએ ખોટી માહિતી દર્શાવેલ હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.