છોટે વીરપુર મોરબીમાં આજે જલારામ જયંતીની ઉજવણી નિમિતે કાર્યક્રમોની વણજાર: કેક કટિંગ, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ યોજાશે
SHARE
છોટે વીરપુર મોરબીમાં આજે જલારામ જયંતીની ઉજવણી નિમિતે કાર્યક્રમોની વણજાર: કેક કટિંગ, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ યોજાશે
મોરબીમાં આજે દરિયાલાલ દાદાના મંદિરેથી બપોરે નીકળશે ભવ્ય શોભાયાત્રા: 226 મી જન્મ જયંતી નિમિતે કેક કટિંગ, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન: આજે વડીલ વંદનાનો કાર્યક્ર્મ જલારામ મંદિરે યોજાશે: સાંજે હજારો લોકો લેશે મહાપ્રસાદનો લાભ
છોટે વીરપુર તરીકે મોરબીને ઓળખવામાં આવે છે કેમ કે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિરે દર વર્ષે ધામધુમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને સંતો મહંતો તેમજ વિશેષ વ્યક્તિઓના હસ્તે જલારામ બાપના જન્મ દિનની કેક કરવામાં આવી હતી અને ત્યાર બાદ બપોરે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે અને જલારામ ઉત્સવ સમિતિ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે જેનો હજારો લોકો લાભ લેતા હોય છે આ વર્ષે જલારામ બાપની 226 મી જન્મ જયંતી નિમિતે કેક કટિંગ, શોભાયાત્રા, મહા પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સંત સિરોમણી જલારામ બાપા ની 226 મી જન્મ જયંતિની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પણ ભક્તજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે જલારામ ધામ ખાતે જલારામબાપાની 226 મી જન્મજયંતિ નિમિતે સપ્તવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે 6:00 કલાકે પ્રભાતધૂન, 10:00 કલાકે અન્નકુટ દર્શન, બપોરે 11:30 કલાકે કેક કટીંગ, બપોરે 12:00 કલાકે મહાઆરતી, 12:30 કલાકે મહાપ્રસાદ, બપોરે 2:30 કલાકે જલારામ બાપાનુ પૂજન, બપોરે 4:00 કલાકે લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી સહીતની સંલગ્ન સંસ્થાઓ દ્વારા છેલ્લા એક માસમાં અવસાન પામેલ સમાજના 13 વડીલોને શ્રધ્ધાંજલિ આપવાના હેતુ સાથે લોહાણા સમાજના વડીલની વંદનાના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે.
વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, જલારામ ધામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરીને તેઓના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે. જેમાં અગાઉ મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અંધજનો, ભિક્ષુકો, શહીદ પરિવાર, વૃધ્ધાશ્રમના વડીલો, અનાથાશ્રમની બાળાઓ, કીન્નરો, મહિલા ટ્રાફીક બ્રિગેડ, શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, ફાયર બ્રિગેડના જવાનો, હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ, પીજીવીસીએલના વાયરમેન અને એસ.ટી. વિભાગના મહિલા કંડકટરને આમંત્રિત કરીને તેઓના હસ્તે કેક કટીંગ કર્યું હતું તેવી જ રીતે આ વર્ષે પણ વિશેષ વ્યક્તિઓને બોલાવીને તેઓના હસ્તે કેક કટીંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મ્રોબી લોહાણા મહાજન, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી જલારામ ધામ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી, શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર-મોરબી સહીતની વિવિધ સંસ્થાઓ હોદેદારો અને તેઓની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.