મોરબીમાં બેલા (રં) ગામે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ૫૯.૭૭ કરોડથી વધુના રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરાયું
SHARE
મોરબીમાં બેલા (રં) ગામે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ૫૯.૭૭ કરોડથી વધુના રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરાયું
મોરબીમાં બેલા (રં) ખાતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં મંત્રીના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા સ્ટેટ હસ્તકના ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, એક આદર્શ રોડ મેપ બનાવી મોરબી જિલ્લામાં વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. વિકાસના પંથે મોરબી હજુ આગળ વધે અને બહારના લોકોને મોરબી આવવાનું મન થાય તે માટે સૌને સહિયારા પ્રયાસ કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. જયારે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીએ જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની નેમ સાથે મોરબી જિલ્લામાં અનેક વિકાસ કાર્યો નિર્માણ પામી રહ્યા છે. અને રાજ્યની સાથે મોરબી જિલ્લો વિકાસના માર્ગે હરણફાળ કરી રહ્યો છે.
મોરબી જિલ્લામાં વાહન વ્યવહાર સુગમ બનાવવા તથા પરિવહન ક્ષેત્રે માળખાકીય પરિવર્તન માટે અંદાજે ૨૮.૪૩ કરોડથી વધુના ખર્ચે બેલા ભરતનગર (શ્રી ખોખરા હનુમાન) રોડ, અંદાજે ૭.૯૦ કરોડના ખર્ચે પીપળીયા-મહેન્દ્રગઢ-સરવડ રસ્તાનું રીસર્ફેસિંગ, અંદાજે ૭.૫૧ કરોડથી વધુ ના ખર્ચે ઝિકિયારી ખાતે મેજર બ્રિજ અને અંદાજે ૧૫.૯૩ કરોડથી વધુના ખર્ચે અણીયારી વેજલપર ઘાટીલા રોડ સહિતના રોડ રસ્તાના કાર્યોની ભેટ મંત્રીએ મોરબી જિલ્લાને અર્પણ કરી હતી. આ તકે જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન જયંતીભાઈ પટેલ, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ પટેલ, જીગ્નેશભાઈ કૈલા, આસપાસના ગામના સરપંચો તેમજ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર દિગ્વિજય સોલંકી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર દિવ્યેશભાઈ બાબરવા સહિતના અધિકારી અને કર્મચારીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.