માળિયા (મી)ના ખાખરેચી ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
SHARE
માળિયા (મી)ના ખાખરેચી ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
ગાંધીનગર બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા માળિયા તાલુકાના ખાખરેચી ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગેની એક દિવસીય ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ શિબિરમાં નાયબ બાગાયત નિયામક વી.એચ.નકુમે પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, બાગાયતી પાકોમાં પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવાથી જમીનની ફળદ્રુપતા જળવાવાની સાથે ઉત્પાદન ખર્ચ ઘટે છે અને આરોગ્યપ્રદ ઉત્પાદન મળે છે. આ પ્રસંગે KVK ના કૃષિ વૈજ્ઞાનિક શ્રી એ.વી. ખાનપરા દ્વારા જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા અને રોગ-જીવાત નિયંત્રણ અંગે ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથો સાથ બાગાયત અધિકારી ભાવેશ કોઠારિયાએ બાગાયતી યોજનાઓ તથા બાગાયત અધિકારી (કેનિંગ) પરાગ કાચાએ ‘મહિલા વૃત્તિકા યોજના’ અંતર્ગત પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન વિષયે વિસ્તૃત વિગતો આપી હતી. આ કાર્યક્રમમાં બાગાયત સુપરવાઇઝર મેહુલ ચાવડા, બાગાયત મદદનીશ નિસર્ગ ભારથી તેમજ GGRC અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના પ્રતિનિધિઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કપાસના પાકમાં 'પેરાવિલ્ટ/ નવા સૂકારા'ના નિયંત્રણ માટે માર્ગદર્શિકા
મોરબી જિલ્લામાં કપાસના ઊભા પાકમાં ‘પેરાવિલ્ટ’ એટલે કે નવા સૂકારાના રોગથી પાકને રક્ષણ આપવા અર્થે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે અગત્યની કૃષિ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કપાસમાં સૂકારાના નિયંત્રણ માટે જમીનમાં પૂરતા પ્રમાણમાં સેંદ્રીય ખાતર આપવા તેમજ જમીનની નિતાર શક્તિ વધારવા જણાવવામાં આવ્યું છે. હલકી જમીનમાં ઝીંડવાની સંખ્યા વધુ હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપવું અને વધુ વરસાદ કે પિયત બાદ વરાપ થયે તાકીદે આંતરખેડ કરવી, જેથી મૂળ વિસ્તારમાં હવાની અવરજવર જળવાઈ રહે. વધુમાં, કપાસના છોડમાં સૂકારો જોવા મળે તેના પ્રથમ ૧૨ કલાકમાં જ અસરગ્રસ્ત છોડની ફરતે ૧% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરિયાનું દ્રાવણ રેડવાથી છોડ પુનઃ જીવંત થઈ શકે છે. આ અંગે વધુ જાણકારી અને માર્ગદર્શન માટે ખેડૂતોને પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કે.વી.કે., તાલુકા અમલીકરણ અધિકારી કે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક સાધવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.