વાંકાનેરના મહિકામાં રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેર પીધું : એકનું મોત
SHARE
વાંકાનેરના મહિકામાં રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેર પીધું : એકનું મોત
ઝેરી દવા પી જનાર ત્રણેય ભાઈઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવારમાં ૧૮ વર્ષીય યશ બાંભણીયાએ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત
૨૩ વર્ષીય કલ્પેશ અને વિશાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ, વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી,વાડી નદી કાંઠે હોય, ખનન માફિયાઓએ પોતાની લીઝ હોવાનો દાવો કરી ધમકાવતા અને જમીન ખાલી કરી નીકળી જવા ધમકીઓ આપતાં હતા તેવો આક્ષેપ કરાયો, ગઈકાલે જેસીબી લઈ જમીનમાં રસ્તો કરવા આવ્યા, બોલાચાલી કરતા આરોપીઓ જતા જતા કહેતા ગયા કે હમણાં પાછા આવીએ છીએ, જેથી ભયમાં મુકાયેલા પિતરાઈ ભાઈઓએ આ પગલું ભર્યું !
વાંકાનેરના મહીકા ગામે રેતી ખનન, જમીન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેરી દવા પીધી હતી. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. પાકમાં છાંટવાની ઝેરી દવા પી જતા ત્રણેય ભાઈઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ૧૮ વર્ષીય યશે દમ તોડી દીધો હતો. વાડી નદી કાંઠે હોય, ખનન માફિયાઓએ પોતાની લીઝ હોવાનો દાવો કરી ધમકાવતા અને જમીન ખાલી કરી નીકળી જવા ધમકીઓ આપતાં હતા તેવો આક્ષેપ કરાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, કલ્પેશ વિનોદભાઈ બાંભણીયા (ઉંમર ૨૩), વિશાલ વિનોદભાઈ બાંભણીયા (ઉંમર ૨૦) અને યશ હરિભાઈ બાંભણીયા (ઉંમર ૧૮) રહે. ત્રણેય મહીકા ગામ, તા.વાંકાને ગઈકાલે સવારે ૧૧ વાગ્યાં આસપાસ પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં ત્રણેયને ઇમરજન્સી વિભાગમાં દાખલ કરી ડોકટરોએ સારવાર શરૂ કરી હતી.બનાવની જાણ રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂ, એ.જી.મકવણા, પ્રતાપભાઈ, રવિભાઈ, ધર્મેન્દ્રભાઈએ વાંકાનેર તાલુકા પોલીસને કરી હતી.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં પેઢી દર પેઢી જે ખેતીની જમીન વાવે છે તે બાજુની જમીનમાં લીઝ રાખનારા શખ્સો ખાલી કરવાનું કહી સતત ધાકધમકી આપતાં હોઈ અને આજે માથાકુટ કરવા આવતાં ત્રણેયએ ગભરાઈને આ પગલુ ભર્યું હતું. કલ્પેશ અને વિશાલ સગા ભાઈ છે.જ્યારે યશ તેના કાકાનો દીકરો છે.કલ્પેશ અને વિશાલના પિતા વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયાએ જણાવ્યું કે, તેઓના પિતા સહિતનો પરિવાર પેઢી દર પેઢી આશરે ૮૦ વર્ષથી મહીકામાં નદી કાંઠે આવેલી જમીન વાવે છે.દર મહિને પંચાયતને તેની નિયમ મુજબનું ભાડુ-વેરો ભરે છે.આ તરફ નદી કાંઠે રેતીની લીઝ સરકારે ફાળવી છે. તેવો દાવો કરતા શખ્સો એવુ કહે છે કે જે જમીન તેઓ વાવે છે તે પણ તેને લીઝમાં મળી છે. અને એટલે ખેતીની જમીન ખાલી કરવી પડશે. પંદરેક દિવસથી આ લોકો સતત ધમકાવે છે. ગઈકાલે સવારે આ લોકો જેસીબી લઈ વાડીની જમીનમાં રસ્તો કરવા આવ્યા હતા.જેથી વિશાલ, કલ્પેશ, યશ સાથે માથાકુટ થઈ હતી. તેઓને મારવા દોડ્યા હતા.ત્રણેય ગભરાઈને ભાગ્યા હતા.આરોપીઓ પરત જતી વખતે કહેતા ગયા હતા કે અમે હમણાં પાછા આવીએ છીએ.જેથી ડરીને ત્રણેય રીંગણીના છોડમાં છાંટવાની દવા પી ગયા હતા.અહીં સારવારમાં રાત્રે ૯ વાગ્યાં આસપાસ યશનું મૃત્યુ નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. ગુનો નોંધવા તજવીજ કરી હતી. આ તરફ યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.