હળવદમાં ૨૬ વર્ષથી માલિકીની જમીન ઉપર દબાણ કરનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીના સાપર નજીક માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
મોરબીના સાપર નજીક માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબી તાલુકાના સાપર ગામ નજીક ગઈકાલના સાંજના નવ વાગ્યાના અરસામાં ગોજારો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મૂળ ધાંગધ્રાના વતની અને હાલ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા વાણંદ યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં આમ્રપાલી કોમ્પલેક્ષની સામે ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૯૭૩ ના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે પોતાનું ડમ્પર ઓવર સ્પીડમાં હંકારીને બાઇક સવાર હિતેશભાઈ ઠાકરશીભાઈ ખરચરીયા જાતે વાણંદ (ઉમર ૩૬) ધંધો વાણંદકામ હાલ રહે.જેતપર(મચ્છુ) મોચીશેરી તા.જી.મોરબી મૂળ રહે ધાંગધ્રા ન્યુ રેલ્વે કોલોની કૈલાષનગર ધોરીધાર વિસ્તાર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને સર્જાયેલ ગંભીર વાહન અકસ્માતના બનાવમાં ડમ્પરના જોટા હિતેશભાઈ ખરચરીયાના શરીર ઉપરથી ફરી વળતા હિતેશભાઈ ખરચરીયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.જેને પગલે મૃતદેહને પીએમ અર્થે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ તાલુકા પોલીસ મથકે કરવામાં આવી હતી.જેથી કરીને તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાદમાં ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવ સંદર્ભે મૃતકના મોટા ભાઇ હરેશભાઈ ઠાકરશીભાઈ ખરચરીયા જાતે વાણંદ (ઉમર ૪૨) ધંધો વાણંદકામ રહે.ધાંગધ્રા ન્યુ રેલ્વે કોલોની પાછળ કૈલાશનગર ધોળીધાર વિસ્તાર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાએ વાહન અકસ્માત સર્જનાર ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૯૭૩ ના ચાલક કે જે વાહન અકસ્માત સર્જયા બાદ વાહન રેઢું મૂકીને સ્થળ પરથી નાસી છૂટ્યો હોય તેના વિરુદ્ધ ગુનો નોંધાવતા હાલમાં તાલુકા પોલીસે ઉપરોકત વાહન અકસ્માતના બનાવની નોંધ કરીને ભાગી છુટેલા આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વીસીપરામાં આવેલી અંબાજી ટાઉનશીપમાં રહેતા બીનાબેન રાજેશભાઈ ઠક્કર નામના ૪૮ વર્ષીય મહિલાને મોરબીના રાજપર રોડ ઉપર મામા દેવના મંદિર પાસે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં બીનાબેનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે રહેતો હરદિપસિંહ અશોકસિંહ પરમાર નામનો ૨૪ વર્ષીય યુવાન દેવળિયા ગામ તરફથી અણીયારી ટોલનાકા તરફ બાઈક લઈને આવતો હતો ત્યારે રસ્તામાં વાહન અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત હરદીપસિંહ પરમારને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.