મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ
મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી
SHARE
મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં, વધુ એક સામે કાર્યવાહી
મોરબીમાં યુવાનને જુગાર રમાડી વ્યાજ ચક્રમાં ફસાવવાના કેસમાં વધુ એક સામે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયા સોસાયટીમાં રામ ભક્તિ એપાર્ટમેન્ટની સામેના ભાગમાં રહેતા ડિમ્પલબેન અમિતભાઈ વડગામા (૩૭) એ થોડા સમય પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિપકસિંહ વાઘેલા રહે.નાની બજાર મોરબી, આકાશ કાથરાણી રહે.રાજકોટ, રમેશભાઈ રામભાઈ બોરીચા રહે.ચિત્રકૂટ પાછળ પંચવટી સોસાયટી મોરબી અને ભગવાનભાઈ કુંભારવાડીયા રહે.શિવ શક્તિ સોસાયટી હનુમાન મંદિરની સામે રવાપર-ઘૂનડા રોડ મોરબી સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતુ કે, તેમના પતિ અમિતભાઈ નૌતમભાઈ વડગામા પાંચેક વર્ષ પહેલા દિપકસિંહ વાઘેલા સાથે જુગારમાં ૨૨ લાખ હારી ગયા હતા.! (મોરબીમાં કેવડા જુગાર રમાતા હશે તે કલ્પના કરો.) તે રકમ ચૂકવવા માટે ફરિયાદીના પતિએ આકાશભાઈ પાસેથી ૧૦ લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતા અને ત્યારબાદ વ્યાજ સહિતની મુદ્દલ માટે આકાશભાઈ કાથાણી દ્વારા ફરિયાદીના પતિને ધમકીઓ આપીને બળજબરીપૂર્વક બે ફ્લેટ વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યા હતા ! તેમજ દિપકસિંહ વાઘેલાને રૂપિયા આપવા માટે રમેશભાઈ બોરીચા પાસેથી સાડા પાંચ લાખ અને ભગવાનભાઈ કુંભારવાડીયા પાસેથી અઢી લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધેલા હતા.જેનું વ્યાજ ફરિયાદીના પતિ આપતા હતા.જો કે, છેલ્લા અમુક મહિનાથી તેઓની તબિયત સારી ન હોય વ્યાજની રકમ ચૂકવી ન હતી.જેથી ચારેય આરોપીઓ દ્વારા વ્યાજ તથા મૂળ રકમ મેળવવા માટે થઈને ફરિયાદીના પતિ તથા ફરીયાદી બેનના સસરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી.જેથી કરીને કંટાળીને ફરિયાદીના પતિ અમિત વડગામાએ ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે લઈ ગયા હતા.બાદ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી.અગાઉ આ ગુનામાં પોલીસે દિપકસિંહ વાઘેલા રહે.મોરબી અને રમેશભાઈ રામભાઈ સવસેટા જાતે બોરીચા (૪૭) રહે.ચિત્રકૂટ સોસાયટી પાછળ પંચવટી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ અને બાકીના બે આરોપીઓ ની શોધખોળ ચાલુ હતી દરમિયાન આરોપી પૈકીના આકાશ સુનિલભાઈ કાથરાણી લોહાણા (૩૫) રહે.૨૦૨ સોપાન હાઇટ ગ્રીન સીટી સામે રૈયા રોડ રાજકોટવાળા કોર્ટમાંથી આગોતરા જામીન લઈને પોલીસમાં રજૂ થયા હતા.જેથી પીએસઆઇ વાણીયાએ તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કર્યા બાદ કોર્ટના હુકમ મુજબ તેઓને જામીનમુક્ત કર્યા હતા.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.
ગુમ થયેલી યુવતીની ભાળ મળી
મોરબીના સામાકાંઠે આવેલ જંગલેશ્વર ભડીયાદ રોડ ખાતે રહેતા જયેશભાઈ ગોપાલભાઈ રાઠોડ (૪૭) દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે, તેમની દીકરી હીનાબેન જયેશભાઈ રાઠોડ (ઉમર ૨૨) ગત તા.૨૭-૪-૨૬ ના રાત્રીના બે વાગ્યે ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગઈ છે.જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા નોંધ કરી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.દરમિયાનમાં સામે આવ્યું હતું કે, ગુમ થયેલા હિનાબેન રાઠોડને તેમના પ્રેમી કરણભાઈ કનકભાઈ ડાભી રહે.લાલપર તા.મોરબી સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હોય હિનાબેન ઘરેથી એકટીવા લઈને મકનસર અને ત્યાંથી તેમના પ્રેમી કરણ સાથે ટંકારા ગયેલ અને બાદમાં પોલીસમાં જાણ કરવામાં આવેલી હોવાની બંનેને જાણ થતા તેઓ રૂબરૂ બી ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર થયા હતા અને તેણીને પોતાના પરિવાર સાથે જવું ન હોય તેણીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે.
વૃદ્ધ સારવારમાં
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા પ્રાણજીવનભાઈ કેશવજીભાઈ જીવાણી નામના ૬૧ વર્ષના વૃદ્ધે થોડા દિવસો પહેલા બપોરના સમયે તેઓના ઘરે કોઈ અજાણી દવા પી ગયા બાદ ગળેફાંસો ખાધો હતો.જેથી તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.