મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી
SHARE
મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી
આગામી ચોમાસુ સીઝનને ધ્યાને રાખીને મોરબી જિલ્લાના ખેડૂતો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે નાયબ ખેતી નિયામક દ્વારા અગત્યની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ, ખેડૂતોએ ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા જાણીતા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.કોઈપણ સંજોગોમાં બિનઅધિકૃત વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી આવી ખરીદી ન કરવા અનુરોધ કરાયો છે.
વધુમાં, રાજ્યમાં ઉત્પાદન અને વેચાણ થતા આ કૃષિ ઈનપુટોની ગુણવત્તા તેમજ તેની ઉપલબ્ધતા (અછત) અંગે ખેડૂતોની રજૂઆતો કે ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ખેડૂતો સવારના ૧૦ થી સાંજના ૭ સુધી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરી, ૨૩૦-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીનો રૂબરૂ અથવા ગુણવત્તા કે અછત અંગેની ફરિયાદો માટે મોરબી નાયબ ખેતી નિયામક (વિ.) ની કચેરી (૦૨૮૨૨) ૨૪૧૭૨૨ ઉપર ટેલિફોનીક સંપર્ક કરી શકશે.તેમ મોરબી નાયબ ખેતી નિયામક (વિ.) ની યાદીમાં જણાવાયું છે.