મોરબીના મણિમંદિર ખાતે મંત્રી કાંતિભાઇ અમૃતિયાની હાજરીમાં કાલે જિલ્લાકક્ષાનો આશિર્વાદના દિવડા કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીના મણિમંદિર ખાતે મંત્રી કાંતિભાઇ અમૃતિયાની હાજરીમાં કાલે જિલ્લાકક્ષાનો આશિર્વાદના દિવડા કાર્યક્રમ યોજાશે
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્ર અને જનતાની સેવામાં સમર્પિત ૨૫ વર્ષના સફળ સેવાકાર્યો તેમજ ‘વિકસિત ભારત ૨૦૪૭’ની ભવ્ય સંકલ્પના અન્વયે મોરબી જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ અને વિવિધ જનકલ્યાણકારી સેવા પ્રવૃત્તિઓના કાર્યક્રમોના આયોજન થનારા છે. જેના સુચારૂ આયોજન માટે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાનો ‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમ તા.૧૭ના સાંજે ૬.૩૦ વાગ્યે મણિમંદિર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાનાર છે તેની તૈયારીઓની સમીક્ષા કલેકટર દ્વારા કરાઇ હતી. આ કાર્યક્રમમાં ૬૫૦૦ દિવડા તેમજ દિપમાળા પ્રગટાવવામાં આવશે. સાધ્ય આરતીમાં મહાનુભાવો પણ જોડાશે. મોરબી જિલ્લાના વિવિધ નગરો અને ગોમોમાં પણ ‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમ થશે. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ જોડાશે.
આ તકે કલેકટરે અધિકારીઓને સેવાકીય અભિયાન અંતર્ગત યોજાનારા આરોગ્ય અને જનકલ્યાણ, સ્વચ્છતા – શ્રમદાન સહિતના જનકલ્યાણકારી કાર્યક્રમો સઘન જનઆંદોલનનું સ્વરૂપ આપવા જણાવ્યુ હતું. મોરબી શહેર અને તાલુકાઓમાં આરોગ્ય કેમ્પ અને રક્તદાન શિબિરો, નિષ્ણાત તબીબી તપાસ, ગંભીર રોગોનું નિદાન, અંગદાન પ્રતિજ્ઞા તેમજ મહિલા આરોગ્ય અને એનેમિયા જાગૃતિ જેવા વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમો સુચારૂ રીતે આયોજન કરવા જણાવ્યુ હતું. કલેકટરે પર્યાવરણ જાળવણી અન્વયે 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સામૂહિક શ્રમદાન, પ્લાસ્ટિક મુક્ત જાગૃતિ, શાળાઓમાં કચરાના વર્ગીકરણની તાલીમ, 'એક પેડ મા કે નામ' હેઠળ વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ ઝુંબેશના આયોજનો જાણી જરૂરી સુચનો કર્યા હતા.
ખાસ કરીને જીલ્લામાં બાળકો અને યુવાનો માટે 'ફિટ ઈન્ડિયા'નું સત્રો યોજાશે. તેમજ માર્ગ સલામતી જાગૃતિ, સાયબર રાત્રિ ગ્રામસભાઓ, ‘નશામુક્ત ભારત’ ઝુંબેશ, દિવ્યાંગ સાધન-સહાય, વૃદ્ધાશ્રમ મુલાકાત, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા 'વોકલ ફોર લોકલ' પ્રદર્શન તથા શહીદોના સન્માનમાં 'એક શામ શહીદો કે નામ' જેવા દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવા સુચના આપી હતી. અને તંત્ર વતી કલેકટરે તમામ મહાઅભિયાનોમાં સ્વેચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, વેપારી મંડળો અને સ્થાનિક જનપ્રતિનિધિઓ, નાગરિકો, યુવાનોને જોડાવા અનુરોધ કર્યો છે.