મોરબીના રોહીદાસપરામા થયેલ મારામારીના બનાવમાં વધુ છ ની ધરપકડ
SHARE
મોરબીના રોહીદાસપરામા થયેલ મારામારીના બનાવમાં વધુ છ ની ધરપકડ
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરામાં જાહેરમાં રસ્તા ઉપર એઠવાડ નાખવા બાબતે પાડોશમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને પક્ષેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પહેલા પાંચની પોલીસે ધરપકડ કરેલ હતી અને છેલ્લા બે દિવસમાં વધુ છ ની ધરપકડ કરેલ છે.
મોરબીના વિસીપરા વિસ્તારમાં રોહીદાસપરા મેઇન રોડ પર બાલમંદિર પાસે રહેતા કેશાભાઈ અમરાભાઇ સોલંકી (૬૨) એ થોડા દિવસો પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ પરસોતમભાઈ ચૌહાણ, તુષાર દીપકભાઈ ચૌહાણ, પ્રથમ દીપકભાઈ ચૌહાણ, જીગુભાઈ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઈ રમેશભાઈ ચૌહાણ, મયુર પરસોત્તમભાઈ ચૌહાણ અને મીનાબેન પરસોતમભાઈ ચૌહાણ રહે. બધા રોહીદાસપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના પત્ની શેરીમાં એઠવાડ નાખવા માટે ગયા હતા ત્યારે આરોપી મીનાબેનને સારું નહીં લાગતા તેણે ફરિયાદી કેશુભાઈના પત્ની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીના પત્નીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા મીનાબેન અને તેના કૌટુંબીક ભાઈઓ દ્વારા ફરિયાદીની પત્ની સાથે માથાકૂટ કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ લાકડાના ધોકા અને એલ્યુમિનિયમની પટ્ટી વડે તેમજ છુટા પથ્થરના ઘા કરીને ફરિયાદીને માથાના ભાગે તેમજ તેના પત્નીને પણ મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રવિભાઈ પરસોતમભાઈ ચૌહાણ (૨૮), તુષાર ડાયાલાલ ઉર્ફે દીપકભાઈ ચૌહાણ (૨૨), મનસુખ ઉર્ફે જીગુભાઈ દેવજીભાઇ ચૌહાણ (૨૪), કિશોરભાઈ રમેશભાઈ ચૌહાણ (૨૪) અને મયુર પરસોત્તમભાઈ ચૌહાણ (૨૫) રહે. બધા રોહીદાસપરા વાળાની ધરપકડ કરી હતી.જયારે મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરા વિસ્તારમાં ઘર પાસે એંઠવાળ ફેંકવા બાબતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સામસામની પોલીસ ફરિયાદો નોંધાયા બાદ બે દિવસ પહેલા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લા બે દિવસ દરમિયાન બી ડિવિઝન પીએસઆઇ જે.એલ.ઝાલા તથા રાઇટર સંજયભાઈ નકુમ દ્વારા વધુ છ ની ધરપકડ કરવામાં આવેલ છે.જેમાં હમીર ઉર્ફે વિનોદ અમરાભાઇ સોલંકી (૫૦), મૂળજી ઉર્ફે મુકેશ હમીરભાઇ સોલંકી (૨૫), મનાક્ષીબેન ઉર્ફે મીનાબેન પરસોત્તમભાઈ મૂળજીભાઈ ચૌહાણ (૩૦) તેમજ ગઈકાલે કેશુભાઈ ઉર્ફે કાળુભાઈ અમરાભાઇ સોલંકી (૬૨), પુષ્પાબેન કેશુભાઈ સોલંકી (૫૪) અને અભિલાષાબેન તુલસીભાઈ ગોવિંદભાઈ સોલંકી (૨૨) રહે. બધા રોહીદાસપરા વીસીપરા મોરબી વાળાઓની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવેલ છે તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
વાંકાનેર ખાતે અમરસિંહજી હાઈસ્કૂલ નજીક રહેતા કનુભાઈ કરશનભાઈ પરમાર નામનો ૩૫ વર્ષીય યુવાન મોરબીના મયુરપુલ ઉપરથી બાઇક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ જતા ઇજાઓ પામતા તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ ઇન્દિરાનગર પાસેના મંગલમ વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ કાળુભાઈ ભીલ નામના ૩૧ વર્ષના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવવામાં ઇજાઓ પહોંચતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો









