મોરબીના છેવાડાના વિસ્તારો જ નહીં શહેરની શાન સમાન નગર દરવાજા ચોકમાં પણ ટ્રાફીક-દબાણ, સફાઇનો અભાવ સહીત સમસ્યાઓની ભરમાર
SHARE
મોરબીના છેવાડાના વિસ્તારો જ નહીં શહેરની શાન સમાન નગર દરવાજા ચોકમાં પણ ટ્રાફીક-દબાણ, સફાઇનો અભાવ સહીત સમસ્યાઓની ભરમાર
મોરબી પાલિકા હાલ અધિકારી શાસન હેઠળ છે અને જેને લઈને હાલમાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં પણ મુશ્કેલીઓ જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને સફાઈ, રોડ રસ્તા, ગટર, પાણી અને સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્નો તેમજ ઉકરડા અને ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિતની બાબતોમાં લોકો હેરાન જોવા મળે છે.
વાત કરીએ મોરબીની શાન સમાન નગર દરવાજા ચોકની તો અહીં તહેવારો વીતી ગયાના અનેક દિવસો બાદ પણ લારી ગલ્લાના દબાણો યથાવત જોવા મળે છે અને જાણે કે દસ્તાવેજો કરી દેવામાં આવ્યા હોય તે રીતે તેને કોઈ હટાવતું નથી તે નવી વાસ્તવિકતા છે..! આ મુદ્દે તાલુકા સ્વાગત તેમજ જિલ્લા સ્વાગતમાં ફરિયાદ કરવામાં આવ્યા છતાં પણ કોઈ નકકર કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી તે હકીકત છે.તેમ જ અહીં સતત ટ્રાફિકને નડતરરૂપ લારી-ગલ્લા અને પાથરણાઓ જોવા મળે છે જેથી લોકોને વાહનો પાર્ક કરવામાં પણ અગવડતાઓ પડી રહી હોય અને આ મુદ્દે ફરિયાદ હોવા છતાં પણ કોઈ કામગીરી થતી નથી. તે કયા કારણોસર નહીં થતી હોય તે સૌ કોઈ જાણે છે પરંતુ આ બાબતે સંલગ્ન ટ્રાફિક વિભાગે લોકોને પડતી અગવડ મુશ્કેલીઓ અંગે વિચારવું જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ અને મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રએ હોકર્સ ઝોન જાહેર કરીને શહેરના મુખ્ય માર્ગો ઉપરના દબાણોને ત્યાં શિફ્ટ કરવા જોઈએ તેવું પ્રબુદ્ધ નાગરિક ઇચ્છી રહ્યા છે.
ઉપરાંત ગ્રીનચોક આસપાસની સોસાયટીઓની અને તેમાં પણ ખાસ કરીને વાત કરીએ નાની બજારની તો નાની બજાર વિસ્તારમાં છેલ્લા અનેક મહિનાઓથી મુખ્ય રોડ ઉપર ગટરના પાણી ઉભરાતા હોવાની સમસ્યા ત્યાંના લોકોને સતાવી રહી છે અને અનેક વખત સ્થાનિક તંત્રમાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ ફેર પડતો ન હોય તંત્ર પ્રત્યે લોકોમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે આ જ હાલત મોરબીના અન્ય વિસ્તારોની પણ છે જેમાં શહેરના વીસીપરા, સોઓરડી, માળિયા-વનાડીયા સોસાયટી, કાલિકા પ્લોટ, લાતી પ્લોટ મેઇન રોડ, મહેન્દ્રપરા, માધાપરા, વજેપરા, શાકમાર્કેટ વિસ્તાર, કબીર ટેકરી વિસ્તાર તેમજ મોરબીના શનાળા પાસે આવેલ ગોકુલનગર અને અન્ય છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વધુમાં જોઈએ તો મોરબીના અનેક સોસાયટી વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે તેમજ શહેરના અમુક કોમર્શિયલ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન નિયમિત થતું ન હોય લોકોએ ના છૂટકે રોડ ઉપર કચરા ફેંકવા પડતા હોય તેવો ઘાટ સર્જાયો છે વળી મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે, દરબારગઢ પાસે, વાંકાનેર દરવાજા તેમજ ખાખરેચી દરવાજા પાસે, નવાડેલા રોડ ઉપર તેમજ અન્ય એવા અનેક વિસ્તારો છે કે જ્યાં કાયમી ઉકરડા જોવા મળે છે નિયમિત ઉકરડા ન ઉપાડવામાં આવતા હોવાથી અથવા તો ત્યાં અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી સતત રોડ ઉપર કચરાના ઢગલા જોવા મળે છે.
મોરબીની શાન સમાન નગર દરવાજા ચોક, ગ્રીનચોક, દરબારગઢ જેવા વિસ્તારોમાં પણ ટ્રાફીક-દબાણ, સફાઇનો અભાવ જોવા મળે છે. નાની બજારમાં રહેતા લોકોએ તંત્ર ઉપર ફિટકાર વર્ષાવતા કહ્યું હતું કે, નાની બજારમાં આવેલ વિશ્વકર્મા મંદિર પાસે છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાય રહી છે. આ ગટર ઉભરાતા આસપાસના વિસ્તારો અને રોડ ઉપર ગંદા પાણી ફરી વળ્યાં છે. ગટરના ગંદા પાણીને કારણે લોકોના આરોગ્ય ઉપર જોખમ સર્જાયું છે. જો કે સ્થાનિકોએ પાલિકા તંત્રને અનેક રજુઆત કરી છે પરંતુ હાલત જૈસે થૈ જેવી જ છે.