મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ રીક્ષા અથડાવા બાબતે સામસામે મારામારી: 6 ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબીમાં ફોન ઉપર યુવાન સાથે વાત કરતી સગીરને પિતાએ ઠપકો દેતા અંતિમ પગલું ભર્યુ : મોત
SHARE
મોરબીમાં ફોન ઉપર યુવાન સાથે વાત કરતી સગીરને પિતાએ ઠપકો દેતા અંતિમ પગલું ભર્યુ : મોત
મોરબીના રવાપર ગામે રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહીને ત્યાં ચોકીદારીનું કામકાજ કરતા મૂળ નેપાળના પરિવારની 15 વર્ષીય સગીરાએ તેના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેણીનું મોત નિપજયુ હતુ. બનાવને પગલે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મૂળ નેપાળના અને હાલ મોરબીના રવાપર ગામે રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ શિરોમણી હાઈટમાં ચોકીદાર તરીકે રહીને ત્યાં કામકાજ કરતા નંદબહાદુર કાલીબહાદુર ભેરિકટ જાતે પરિહાર નેપાળી (46) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા જણાવ્યું હતું કે, તેઓની 15 વર્ષીય પુત્રી જમનાબેનએ તેઓના રૂમ ખાતે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તેનું મોત થયેલ હોય મૃતદેહને પીએમ માટે સિવિલએ લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના જે.એ.ઝાલા દ્વારા બનાવ અંગે તપાસ કરવામાં આવી હતી.જેમાં ચોંકાવનારૂ કારણ સામે આવ્યુ હતુ કે મૃતક જમનાબેન નંદબહાદુર નામની 15 વર્ષીય સગીરા ફોન ઉપર કોઈ યુવાન સાથે વાતચીત કરતી હતી.જે બાબતની જાણ તેના પિતાને થઇ જતા તેઓએ આ બાબતે મૃતકને ઠપકો આપ્યો હતો.આ બાબતનું મનોમન લાગી આવતા સગીરાએ અંતિમ પગલું ભરી લેતા તેનું મોત થયું હતું.
મારામારીના બનાવમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીક ઓપો ગ્રેનાઇટ યુનિટ-2 માં ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા આકાશકુમાર યાદવ નામના 20 વર્ષીય મજૂર યુવાનને તા.1-7 ના રોજ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી.જેથી શહેરના સામાકાંઠેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાંથી બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા મારામારીના બનાવની નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ લક્ષ્મણભાઈ સુવાણ નામના 40 વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવની તાલુકા પોલીસ સૂત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે પીપળી ગામ પાસેથી રાત્રિના આઠેક વાગ્યે તે બાઇક લઈને જતો હતો ત્યારે અન્ય વાહન સાથે અકસ્માત બનાવમાં ઇજા થતાં રાજુભાઇને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
યુવાન સારવારમાં
મોરબીના જોધપર(નદી) નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.આ બનાવમાં ઇજા પામેલ હમીરભાઇ કેશુભાઈ ચાવડા (ઉમર 42) રહે.લીલાપર રોડ મોરબી વાળાને ઇજાઓ પહોંચી હતી.જેથી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
દવા પી જતા સારવારમાં
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં રહેતો જીતેશ કાંતિભાઈ કાંજીયા નામનો 23 વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર મચ્છર મારવાની દવા પી ગયો હતો.જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા સ્ટાફના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે તપાસ શરૂ કરાઈ હતી.