મોરબીના વીસીપરા-લાતી પ્લોટ સહિતના વિસ્તારના લાઈટ, પાણી, રોડ-રસ્તા સહિતના પ્રશ્નો ઉકેવાની માંગ સાથે કોંગ્રેસનાં ધારાસભ્યનો સ્થાનિક લોકો સાથે પાલિકામાં અડિંગો
SHARE
મોરબીના વીસીપરા-લાતી પ્લોટ સહિતના વિસ્તારના લાઈટ, પાણી, રોડ-રસ્તા સહિતના પ્રશ્નો ઉકેવાની માંગ સાથે કોંગ્રેસનાં ધારાસભ્યનો સ્થાનિક લોકો સાથે પાલિકામાં અડિંગો
મોરબી શહેરી વિસ્તારની અંદર લોકો લાઈટ, પાણી, રોડ રસ્તા સહિતના પ્રાથમિક પ્રશ્નોને લઈને હેરાન છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનોએ સ્થાનિક લોકોને સાથે રાખીને પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો અને નગરપાલિકા હાય હાય સહિતના સૂત્રોચાર કર્યા હતા અને તેમના વર્ષો જૂના લાઈટ, પાણી, રોડ રસ્તાના જે પ્રશ્નો છે તે ઉકેલવા માટેની લેખિત બાંહેધરી પાલિકા ન આપે ત્યાં સુધી પાલિકા કચેરીમાં ધારાસભ્ય સહિતનાઓએ અડિંગો જમાવ્યો હતો.
મોરબીને રાજ્યની એ ગ્રેડની નગરપાલિકામાં સમાવવામાં આવે છે જોકે, મોરબી શહેરી વિસ્તારની અંદર અનેક જગ્યાએ ગ્રામ્ય કક્ષા જેવી પણ લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને આજની તારીખે પણ મોરબીના વર્ષો જૂના વિસ્તાર જેવા કે, વીસીપરા, લાતી પ્લોટ વગેરે વિસ્તારોની અંદર લાઈટ, પાણી, રોડ રસ્તાની પ્રાથમિક સારી સુવિધાઓ નથી અને 24 કલાક ગટરના ઉભરાતા પાણી, વરસાદમાં ગારા, કીચડ અને ગંદકી, કચરાના ઢગલા, કાચા પાકા તૂટેલા ભાંગેલા રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓથી લોકો હેરાન પરેશાન છે. અને તેઓની મુશ્કેલીઓ અને તેઓના વિસ્તારની સમસ્યાઓ દૂર કરવા માટે થઈને પાલિકામાં એક નહીં પરંતુ અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં પણ તેમની રજૂઆતોને ધ્યાને લઈને તેમના ઉભરાતી ગટર વરસાદી પાણીનો નિકાલ ગારા, કીચડ, ગંદકીનો નિકાલ તથા લાઈટ, પાણી, રોડ રસ્તાની લગતા જે કોઈ પ્રશ્નો હોય છે તેનો નિકાલ કરવામાં આવતો નથી.
જેથી કરીને ના છૂટકે લોકોને ગંદકીની વચ્ચે પોતાના ઘરની અંદર રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તથા કોંગ્રેસની આખી ટીમ લાતી પ્લોટ અને વીસીપરા સહિતના જુદા જુદા વિસ્તારના લોકોએ હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને પાલિકા હાય હાયના સુત્રોચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક લોકો દ્વારા પાલિકા કચેરીમાં અડીગો જમાવવામાં આવ્યો હતો અને તે લોકોના પ્રશ્નો ઉકેલવા માટેની સમય મર્યાદા સાથેની લેખીત બાંહેધરી ન આપવામાં આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાંથી જશે નહીં તેવું કહીને પાલિકા કચેરીમાં જ ત્યાં તમામ લોકો બેઠા હતા. જેથી કરીને નગરપાલિકાએ તેઓને તેમના જે કોઈ પ્રશ્ન છે તેને ઉકેલવા માટેની લેખિત બાહેંધરી આપી હતી તેવું કોંગ્રેસના આગેવાનો પાસેથી જાણવા મળેલ છે. અને મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ધાર્મિકભાઈ ડોબરીયાએ જણાવ્યુ હતું કે, જે વિસ્તારમાંથી લોકોના પ્રશનો આવેલ છે તે પ્રશ્નોને લાગત વિભાગના કર્મચારીઓને સમયસર ઉકેવા માટે સૂચના આપવામાં આવી છે અને કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા જે પ્રકારે લેખિત બાહેંધરી આપવાની માંગ કરવામાં આવી હતી તે રીતે લેખિત બાહેંધરી આપવામાં આવેલ છે.