મોરબીમાં પતિએ તાવો કરવાની ના પાડતા પરણીતાએ મોત મીઠું કર્યું
SHARE
મોરબીમાં પતિએ તાવો કરવાની ના પાડતા પરણીતાએ મોત મીઠું કર્યું
મોરબીના નવલખી રોડ ઉપર આવેલી ન્યુ રેલ્વે કોલોનીમાં રહેતા અને રેલ્વેમાં કામકાજ કરતા યુવાનની સાથે પત્નીની જેમ રહેતી મહિલાએ તેના કવાટરમાં ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયુ હતું. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક પરણીતાએ માતાજીના મંદિરએ તાવો કરવા માટે કહ્યું હતું.જોકે હાલ વરસાદી માહોલ હોય તેના પતિએ હાલમાં તાવો કરવાની ના પાડતા પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હતું.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથક ખાતે હાલમાં શ્રીકૃષ્ણકુમાર અજાબરામ ધુલે બાવાજી (32) મૂળ રહે. અમરાવતી મહારાષ્ટ્ર હાલ રહે. ન્યુ રેલવે કોલોની નવલખી રોડ મોરબી વાળાએ જાહેર કર્યું હતું કે, તેની સાથે મૈત્રી કરાર કરીને રહેતી ભાવિકાબેન અમૃતભાઈ મૂળજીભાઈ ખરાડી (26) હાલ રહે. ન્યુ રેલવે કોલોની નવલખી રોડ મોરબી મૂળ રહે. ભિલોડા જીલ્લો સાબરકાંઠાએ તેઓના ક્વાટરમાં ગળેફાંસો ખાઈ લીધો છે અને તેના મૃતદેહને પીએમ માટે સિવિલએ લાવવામાં આવેલ છે.બનાવની જાણ થતાં એ ડીવીજન પોલીસ મથકના પી.એસ.આઇ. કરકર તથા સ્ટાફના ધ્રુવરાજસિંહ તપાસ માટે પહોંચ્યા હતા અને તેમાં સામે આવ્યું હતું કે, મૃતક ભાવિકાબેન ખરાડી છેલ્લા કેટલાક વર્ષોથી મૈત્રી કરાર સાથે શ્રીકૃષ્ણકુમાર ધૂલેની સાથે રહેતા હતા અને મૃતકે નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવારી મેલડી માતાના મંદિરે તાવો કરવા માટે કહ્યું હતું અને મૃતક ભાવિકાબેનએ તેમના પિયરના લોકોને પણ બોલાવી લીધા હતા.જેઓ અમદાવાદથી મોરબી આવવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં શ્રીકૃષ્ણકુમાર ધુલે જણાવ્યું હતું કે હાલ વરસાદનો સમય છે તાવો પછી કરીશું. જોકે ભાવિકાબેનના સગા મોરબી આવવા માટે નીકળી ગયા હોય આ બાબતનું તેણીને મનમાં લાગી ગયું હતું.જેથી મૃતક ભાવિકાબેનએ તેમના ક્વાર્ટરમાં અંતિમ પગલું ભરી લીધું હતું.