મોરબીમાં શનાળા રોડે કાર ધડાકાભેર વીજપોલ-બેંકના શટરમાં અથડાઇ, કારનો બૂકડો બોલી ગયો
મોરબી શહેરમાંથી ગંદકી દૂર ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
SHARE








મોરબી શહેરમાંથી ગંદકી દૂર ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
મોરબી શહેરમાં ચોમેર ગંદકી છે ત્યારે આગામી તહેવાર પહેલા ગંદકી દૂર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ દ્વારા આ બાબતે કલેક્ટરને રજૂઆત કરીને શહેરને ગંદકી મુક્ત કરીને સફાઈ જાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો કામ નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે.
મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી તેને ઘણો સમય થયેલ છે. અને સરકાર તરફથી કોર્પોરેશન બનાવીને ચુંટણી આપવાની વાત કરવામાં આવે છે જો કે, ચુંટણી આપવામાં આવી રહી નથી અને લોકોને સુવિધા મળી રહી નથી જેથી વહેલી તકે ચૂંટણી આપવામાં આવે તેવી માંગ કરી છે અને હાલમાં મોરબીમાં સફાઈ નામે મીંડું છે, ઠેરઠેર ગટર ઉભરવાની સમસ્યા છે તેમજ ચોમેર ગંદકી છે અને મલેરિયા, ટાઈફોઈડ, કમળો, ડેન્ગ્યું તેમજ વાઈરલ ઇન્ફેકેશનના દર્દીઓથી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. !
આ ઉપરાંત શહેરના દરેક રસ્તાઓ ઉપર ઢોરોનો ત્રાસ અને ગટરની ગંદકીને લઈને મોરબીની જનતા હેરાન છે ત્યારે નર્કાગાર જેવી પરિસ્થિતિમાં જ મોરબીના લોકોને દિવાળી અને બેસતા વર્ષનું ઉજવણી કરશે તેવું હાલમાં લાગી રહ્યું છે ત્યારે શહેરમાં સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અને વધુમાં તેઓએ કહ્યું છેકે, ધારાસભ્ય છાછવારે સોસીયલ મીડિયામાં કામનો વાતો કરે છે જો કે, કામ નામે મીંડું છે. તેવું લોકો કહી રહ્યા છે. અને સરકારનો પગાર મેળવતા જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ સમજીને લોકોના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોને વહેલી તકે ઉકેલે તે અનિવાર્ય છે નહીં તો ના છૂટકે જાહેર જનતાને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

