મોરબીના ગોર ખીજડીયા પાસે દૂષિત પાણી કારખાનાનું નહીં પરંતુ ભૂગર્ભ ગટરનું પાણી હોવાનું પ્રાથમિક તારણ: જીપીસીબીના અધિકારી
SHARE
મોરબીના ગોર ખીજડીયા પાસે દૂષિત પાણી કારખાનાનું નહીં પરંતુ ભૂગર્ભ ગટરનું પાણી હોવાનું પ્રાથમિક તારણ: જીપીસીબીના અધિકારી
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામ પાસે આવેલ ચેક ડેમ નજીક પ્રદૂષિત પાણી જોવા મળી રહ્યું છે જેથી કરીને આસપાસના ઔદ્યોગિક વિસ્તાર કે પછી અન્ય કોઈ વિસ્તારમાંથી પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી અને તેનાથી ખેતી પાકન તથા અબોલજીવને નુકસાન થતું હોવાની જીપીસીબીમાં રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક સેમ્પલ લઈને અધિકારીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ દૂષિત પાણી કારખાનાનું નહીં પરંતુ ભૂગર્ભ ગટરના દૂષિત પાણી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અને લીધેલ સેમ્પલના રિપિર્ટની રાહ જોવાઈ રહી છે.
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં પેપર મિલો સહિતના નાના-મોટા કારખાનાઓ આવેલા છે અને આ પેપર મિલોની પાછળના ભાગમાં આવેલા ચેક ડેમોમાં પ્રદૂષિત પાણી જોવા મળી રહ્યું છે અને ત્યાં લાલ અને કાળા રંગ જેવું પાણી દેખાય છે તથા ફીણના ગોટેગોટા જોવા મળતા હોય દૂષિત પાણીને લઈને ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા ગાંધીનગર જીપીસીબીની કચેરી સુધી રજૂઆત કરવામાં આવી હતી અને તેમના કહેવા પ્રમાણે દૂષિત પાણીના લીધે ખેતીના પાક તથા અબોલ જીવને નુકસાન થઈ રહ્યું છે જેથી પ્રદૂષણ રોકવા માટે થઈને ગ્રામ પંચાયત મારફતે રજૂઆત કરવામાં આવેલ છે
ગોર ખીજડીયા ગામ પાસે જે પ્રદૂષણની વિગતો સામે આવી રહી છે તે બાબતે જીપીસીબીની ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવેલ છે જેથી જીપીસીબીના પ્રાદેશિક અધિકારી એમ.એન. સોની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોમાંથી નીકળેલ દૂષિત પાણી નહીં પરંતુ પાલિકા વિસ્તારમાંથી ભૂગર્ભનું જે પાણી સીધું જ વોકળામાં છોડવામાં આવી રહ્યું છે તે દૂષિત પાણી ત્યાં આવી રહ્યું છે જોકે સ્થળ ઉપરથી સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે મોકલાવવામાં આવેલ છે અને શહેરી વિસ્તારમાંથી નીકળતા આ ગંદા પાણી બાબતે યોગ્ય નિકાલ કરવા માટે પાલિકા તંત્રને પણ જાણ કરવામાં આવી છે
હાલમાં મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે ચેકડેમમાં પ્રદૂષિત પાણી જોવા મળી રહ્યું છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે પરંતુ ખરેખર આ ઔદ્યોગિક એકમોમાંથી નીકળેલ પ્રદૂષણ પાણી છે કે, પછી ડ્રેનેજમાથી આડેધડ છોડવામાં આવતા દૂષિત પાણી છે અને તે ખરેખર અબોલજીવ, લોકોને અને ખેતી પાકને નુકસાન કરે છે કે કેમ તે તો જીપીસીબી ની ટીમે લીધેલા સેમ્પલના પૃથકરણ રિપોર્ટ બાદ જ સામે આવશે.