મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ત્રિદિવસીય સંસ્કૃતોત્સવનો કાર્યક્રમ
કાયદાઓ કેદમાં !: મોરબીમાં ઇ.એસ.આઇ. કાયદાનો લાભ કામદારોને મળતો જ નથી ?, સ્વૈચ્છીક સંસ્થાએ કરેલ સર્વેનું તારણ
SHARE








કાયદાઓ કેદમાં !: મોરબીમાં ઇ.એસ.આઇ. કાયદાનો લાભ કામદારોને મળતો જ નથી ?, સ્વૈચ્છીક સંસ્થાએ કરેલ સર્વેનું તારણ
મોરબીમાં સામાજીક સુરક્ષા કાયદાઓ કેદમાં છે મોરબીમાં ઇ.એસ.આઇ. કાયદાનો લાભ કામદારોને મળી રહ્યો નથી, ન ઇએસઆઇ, ન પીએફ, ન પગાર પાવતી એટલે કે મજુર કાયદાઓનું પાલન કરવા માલીકો તૈયાર નથી તેવો અહીં ઘાટ હોવાનું એક અભ્યાસના તારણમાં સામે આવેલ છે.મોરબીમાં કામદારો સાથે કામ કરતી સ્વૈચ્છીક સંસ્થા દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં મળેલ માહિતી અનુસાર ૯૩ ટકા કામદારોનો ઇ એસ આઇ કાયદા હેઠળ ફાળો કાપવામાં આવતો નથી. ૯૨ ટકાનો પીએફ કાપવામાં આવતો નથી અને ૯૦ ટકાને પગાર પાવતી આપવામાં આવતી નથી.! તેવો સર્વેમાં ખુલાશો થયેલ છે.
તાજેતરમાં પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર દ્રારા પ્રકાશીત અહેવાલ 'કેદમાં કાયદા' માં આ વિગત આપવામાં આવી છે. સંસ્થાએ કરેલા અભ્યાસમાં ૨૦૦૦ કામદારો જોડાયા હતા જેમાં ૧૭૭૬ પુરુષ અને ૨૨૪ મહીલા કામદાર હતા. ૮૭૯ સ્થાનીક અને ૧૧૨૧ સ્થળાંતરીત કામદારો હતા.આ ૨૦૦૦ કામદારો જુદા જુદા ૨૯૦ એકમોમાં કામ કરતા કામદાર હતા.આ એકમો સીરામીકનું ઉત્પાદન કરનારા (૨૪૬ એકમ : ૧૭૨૯ કામદાર) હતા, સીરામીક સિવાય અન્ય ચીજોનું ઉત્પાદન કરનારા (૩૮ એકમ : ૧૫૬ કામદાર) હતા અને કેટલાક સેવા ક્ષેત્રના (૬ એકમ : ૧૧૫ કામદાર) હતા.આ તમામ એકમો એવા હતા જે ઇએસઆઇ કાયદા હેઠળ સુચીત (નોટીફાય) કરેલા વિસ્તારમાં આવેલા હતા.ત્યાં ૧૦ થી વધુ કામદારો કામ કરતા હતા અને આ તમામના વેતન ૨૧ હજાર કે તેથી ઓછો હતો. ઇએસઆઇ કાયદો લાગુ થવા માટે આ ૩ અગત્યની શરતો છે.
આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે આ એકમો પુરુષ અને મહિલા કામદારો વચ્ચે ભેદભાવ કરે છે અને સ્થાનીક અને સ્થળાંતરીત કામદારો વચ્ચે પણ ભેદભાવ કરે છે.૧૧૨૧ સ્થળાંતરીત કામદારો પૈકી માત્ર ૪૦ ને જ ઇએસઆઇ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.કામદારો સરેરાશ વેતન રૂા.૧૫,૯૪૩ મેળવે છે પણ મહિલાઓને વેતન ઓછું મળે છે.જે કામદારોને ઇએસઆઇ કાયદા હેઠળ આવરી લેવાયા છે.તેમના વેતનમાંથી ફાળો કપાતો હોવા છતાં તેમને આ કાયદા હેઠળ મળવાપાત્ર ઓળખકાર્ડ આપવામાં આવ્યું ન હોવાને કારણે તે કામદારોને પણ લાભ તો મળતો જ નથી,એ પણ આ અભ્યાસમાં જાણવા મળે છે.
વેતન પાવતી અંગે કામદારોને કશી જ સમજ નથી એમ પણ આ અભ્યાસમાં જાણવા મળે છે.વેતન પાવતી કે ઓળખ કાર્ડ ન હોવાને કારણે કામદારો અકસ્માત કે વ્યવસાયીક રોગ થાય તો અપંગતા માટે કોઇપણ કાયદા હેઠળ વળતર દાવો કરી શકતા નથી.મોરબીમાં સામાજીક સુરક્ષા માટેના મહત્ત્વના કામદાર કાયદાના અમલ અંગે આ પ્રકારનો કદાચ આ પહેલો જ વ્યવસ્થીત અભ્યાસ થયો હશે.મોરબીમાં ૧૯૬૭ થી ઇએસઆઇ કાયદાનો અમલ કરવા માટે જાહેરનામું પ્રગટ કરાયું તેના ૫૮ વર્ષ બાદ પણ ન તો ઉધોગ કાયદાનો અમલ કરવા તૈયાર છે, ન સરકાર અમલ કરાવી શકે છે.કામદારોના સંગઠનો જ નથી જે આ માટે દબાણ ઉભું કરી શકે.આ અભ્યાસને આધારે આ બાબતે પરીવર્તનની શરુઆત થાય તેવી આશા પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટરના ચિરાગભાઇએ વ્યક્ત કરેલ છે.
