મોરબી: સાવકા પિતાના ત્રાસથી ઘર છોડીને ચાલી ગયેલ યુવતી માતાની ખબર પૂછવા માટે આવતા મારામારી, કુલ ચારને ઇજા
SHARE
મોરબી: સાવકા પિતાના ત્રાસથી ઘર છોડીને ચાલી ગયેલ યુવતી માતાની ખબર પૂછવા માટે આવતા મારામારી, કુલ ચારને ઇજા
મોરબીના લૂંટાવદર ગામે રહેતા સાવકા પિતાના ત્રાસના કારણે દીકરી તેની બહેનપણીના મિત્રના ઘરે રહેવા માટે જતી રહી હતી અને ત્યારબાદ સાવકા પિતાએ તેની દીકરીને વ્હોટ્સએપ કોલ કરીને તેની માતાની તબિયત ખરાબ છે તેવી જાણ કરી હતી જેથી દીકરી તેની માતાની ખબર પૂછવા માટે આવી હતી ત્યારે સાવકા પિતાએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને બંને પક્ષેથી મારામારી થઈ હતી જે બનાવમાં ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ અગાઉ રાજકોટ ખાતે રહેતા અને હાલમાં મોરબી તાલુકાના લુટાવદર ગામે રહેતા કિરીટભાઈ ગણેશભાઈ મોરડીયા (45) તેમજ રાજકોટમાં આવેલ સીતારામ સોસાયટી ખાતે રહેતા રાજેશભાઈ રમણીકભાઈ બગથરીયા (45), કૃણાલભાઈ રાજેશભાઈ બગથરીયા (18) અને દિશાબેન (18) નામના કુલ ચાર વ્યક્તિઓને મારા મારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની તપાસ કરી રહેલા એચ.એમ.ચાવડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દિશાબેનને તેઓના સાવકા પિતા કિરીટભાઈ ગણેશભાઈ મોરડીયાનો ત્રાસ હતો અને તે મારકૂટ કરતાં હતા જેથી દિશાની બેનપણી મારફતે તેનો કૃણાલ સાથે સંપર્ક થયો હતો. અને ત્યાર બાદ તે કૃણાલના ઘરે રહેવા માટે જતી રહી હતી તેવામાં કિરીટભાઈએ તેની દીકરી દિશાને વ્હોટ્સએપ કોલ કરીને તેની માતા બીમાર હોવાની જાણ કરી હતી જેથી દિશા તેમજ રાજેશભાઈ અને કુણાલ લૂંટાવદર ગામે દિશાની માતાની ખબર પૂછવા માટે આવ્યા હતા ત્યારે કિરીટભાઇએ બોલાચાલી ઝઘડો કર્યો હતો અને મારામારી કરી હતી જે બનાવમાં ઈજા પામેલા ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે.
જનાવર કરડી ગયું
મોરબીના આમરણ ગામે કેશુભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા હિંમત તરશીભાઈ કોળી (40) નામના યુવાનને વાડીએ હતો ત્યારે કોઈ જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાનને મારમાર્યો
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ જીલટોપ કારખાના પાસે મનુભાઈ બહાદુરસિંહ રાજપુત (27) નામના યુવાનને લોખંડના સળિયા વડે માર મારતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે