દેશમાં નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર બનાવનારા સામે કડક કાર્યવાહી કરો: અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબીના ઉપાધ્યક્ષની વડાપ્રધાન સમક્ષ માંગ
SHARE
દેશમાં નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર બનાવનારા સામે કડક કાર્યવાહી કરો: અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબીના ઉપાધ્યક્ષની વડાપ્રધાન સમક્ષ માંગ
ભારત દેશમાં નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ (Voter ID), અને જન્મ પ્રમાણપત્રો જેવા સંવેદનશીલ સરકારી દસ્તાવેજો બનાવતી અને વિતરિત કરતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી કરીને તેને શરૂઆતના તબક્કે જ કડક રીતે ડામી દેવા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબીના ઉપાધ્યક્ષ દ્વારા વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબીના ઉપાધ્યક્ષ મેહુલ ગાંભવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં લોકોના સંવેદનશીલ સરકારી દસ્તાવેજો બનાવતી અને વિતરિત કરતી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓની સામે આકરા પગલાં લેવા માટેની રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, દેશની આંતરિક સુરક્ષા અને વહીવટી પારદર્શિતા માટે એક વિકરાળ અને ગંભીર પડકાર ઊભો થઈ રહ્યો છે. દેશભરમાં નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય ઓળખ પત્રો બનાવવાનું જે દૂષણ વ્યાપી રહ્યું છે, તે માત્ર વહીવટી ગેરરીતિ નથી, પરંતુ તે રાષ્ટ્રીય સલામતી માટેનું એક મોટું જોખમ છે. આ સમસ્યાની ગંભીરતા અને તેના દૂરોગામી પરિણામો ઉપર નજર કરીએ તો રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમ છે કેમ કે, નકલી દસ્તાવેજોનો ઉપયોગ દેશવિરોધી તત્વો, આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર ઘૂસણખોરીને કાયદેસરતા આપવા માટે થઈ શકે છે, જે દેશની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર છીંડાં પાડી શકે છે.
આ ઉપરાંત ભ્રષ્ટાચારનું મૂળ છે કેમ કે, ડમી પુરાવાઓ સરકારી નોકરીઓ, સરકારી યોજનાઓ, બેંક લોન અને અન્ય સંવેદનશીલ સેવાઓમાં ભ્રષ્ટાચારને વેગ આપે છે. તેમજ નકલી ચૂંટણી કાર્ડ દ્વારા કરાતું ડમી વોટિંગએ ભારતની લોકશાહી પ્રક્રિયાની પવિત્રતા અને વિશ્વસનીયતા પર સીધો હુમલો છે. આટલું જ નહીં સરકારી અધિકારીઓ અને સામાન્ય જનતાને આ નકલી દસ્તાવેજોના કારણે જટિલ સમસ્યાઓ અને હેરાનગતિઓનો સામનો કરવો પડે છે, જેનાથી કાયદા-વ્યવસ્થાની સ્થિતિ પર માઠી અસર થાય છે. જેથી કરીને આ માફિયાઓને જો શરૂઆતના તબક્કામાં જ કડક પગલાં દ્વારા ડામી દેવામાં નહીં આવે, તો તેઓ અમુક વર્ષો પછી માથાનો દુખાવો નહીં પણ દેશની નસોમાં વહેતું ઝેર બની જશે.
જેથી ઝીરો-ટોલરન્સ નીતિ ઉપર કામ કરીને નકલી દસ્તાવેજો બનાવવામાં સંડોવાયેલા વ્યક્તિઓ અને સંગઠનો સામે આતંકવાદ વિરોધી કાયદાની સમકક્ષ કલમો હેઠળ તાત્કાલિક અને અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને આરોપીઓની સજાની જોગવાઈ એટલી સખત અને ડરાવનારી હોવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે. ખાસ કરીને આ પ્રવૃતિ ઉપર નજર રાખવા માટે દેશભરમાં રાષ્ટ્રીય સ્તરે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. તથા લોકોના દસ્તાવેજોની ચકાસણી પ્રણાલીને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તેવી લાગણી વિકટ કરેલ છે.









