મોરબીમાં લાખો રૂપિયાની લેતી દેતી માટે મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશ સળગાવનારા આરોપીનું સરઘસ કાઢવા સમાજ-પરિવારની માંગ
SHARE
મોરબીમાં લાખો રૂપિયાની લેતી દેતી માટે મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશ સળગાવનારા આરોપીનું સરઘસ કાઢવા સમાજ-પરિવારની માંગ
મોરબીમાં એક અઠવાડીયા પહેલા જમીન લે-વેચનું કામ કરતો યુવાન ગુમ થયો હતો જેથી તેના પત્નીએ ગુમસુધા ફરિયાદ પણ પોલીસને આપી હતી જો કે, તે યુવાનની હત્યા કરીને લાશને મોરબીના પીપળી અને બેલા ગામની વચ્ચે આવેલ બંધ કારખાનામાં ખાડામાં સળગાવી દીધી હતી અને ત્યાર બાદ તેના ઉપર ધાબું ભરી દેવામાં આવ્યું હતું જેથી આજે પોલીસની હાજરીમાં ખાડો ખોદીને મૃતક યુવાનના બોડીના અવશેષોને બહાર કાઢવામાં આવ્યા છે અને રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે જો કે, હાલમાં ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે.
મોરબી વીસીપરા વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનું કામ કરતો તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટી (47) નામનો યુવાન છેલ્લા આઠેક દિવસથી ગુમ થઈ ગયો હતો જેથી કરીને તેની પત્ની રજીયાબેન તાજમહમદભાઈ ભટ્ટીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ હતો જેથી કરીને પોલીસ ગુમ થયેલ યુવાનને શોધવા માટેની કવાયત કરી રહી હતી તેવામાં શકદાર તરીકે ગુમ થયેલા યુવાનના પરિવારે બાલો અઘારાનું નામ આપેલ હતું.
જેથી પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી તેવામાં તાજમહમદભાઈ ભટ્ટીની હત્યા કરવામાં આવી હોવની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસે શકદારને સાથે રાખીને મોરબીના પીપળી બેલા રોડ ઉપર આવેલ બંધ પડેલ શિવાય કોલ કોર્પોરેશન નામના કારખાનામાં ખોદકામ કર્યું હતું અને ત્યાંથી ગુમ થયેલા તાજમહમદભાઈ ભટ્ટીની ખાડામાંથી સળગાવી દીધેલ હાલતમાં બોડીને અવશેષ મળી આવ્યા હતા. જેથી પોલીસે તેને કબ્જે કરીને ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતું અને રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ બનાવ સંદર્ભે મોરબી મિયાણા સમાજના પ્રમુખ અકબરભાઈ મોવરએ જણાવ્યુ હતું કે, મુસ્લિમ યુવાનની રૂપિયાની લેતી દેતી બાબતે નિર્મમ હત્યા કરીને તેની લાશને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો આરોપીઓએ પ્રયાસ કર્યો છે જેથી કરીને હત્યા સહિત આ ગુનામાં જે કોઈ પણ આરોપી સંડોવાયેલ હોય તેના પગના તળિયા લાલ કરીને મોરબીમાં સરઘસ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી મૃતકની લાશને તેના પરિવારજનો સ્વીકારશે નહીં.
હાલ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજમહમદભાઈ ભટ્ટીનું મોરબીમાં આવેલ લાલબાગ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને ભડિયાદ બાજુ ફાર્મ હાઉસ જેવી કોઈ જગ્યાએ લઈ જઈને તેની સાથે મારકૂટ કરવામાં આવી હતી અને જેમાં તેની હત્યા થઈ ગયેલ હોવાથી તે યુવાનની લાશને મોરબીના પીપળી અને બેલા ગામની વચ્ચે આવેલ શિવાય કોલ કોર્પોરેશન નામના કારખાનામાં લઈને આવ્યા હતા અને ત્યાં જમીનમાં ખાડો ખોદીને ત્યાં લાકડા મૂકવામાં આવ્યા હતા ત્યાર બાદ તેના ઉપર તાજમહમદભાઈ ભટ્ટીની બોડીને મૂકીને ડીઝલ જેવો જવલંતશીલ પદાર્થ તેના ઉપર છાંટીને બોડીને સળગાવી નાખવામાં આવી હતી
આટલુ જ નહીં ત્યાર બાદમાં તાજમહમદભાઈ ભટ્ટીની લાશને સળગાવી હતી ત્યાં ખાડો બુરવા માટે ઉપર માટી નાખી હતી આને પછી સિમેન્ટથી ધાબું ભરી નાખવામાં આવ્યું હતું. જો કે, આજે ડીવાયએસપી જે.એમ.આલ બી ડિવિઝન અને તાલુકાનાં પીઆઇની હાજરીમાં સ્થળ ઉપર ખાડો ખોદીને પોલીસે તાજમહમદભાઈ ભટ્ટીની બોડીના અવશેષોને કબ્જે કરેલ છે અને મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે જો કે, હત્યા અને હત્યાના પુરાવાનો નાશ કરવાના ગુનામાં કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ છે તે દિશામાં પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે.
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થાય તેવા બનાવો રોજે રોજ સામે આવી રહ્યા છે થોડા દિવસો પહેલા વાહનનો ઓવરટેક કરવા મુદે સોની યુવાનને જાહેરમાં છરી મારીને સગીરો દ્વારા હત્યા કરવામાં આવી હતી ત્યારે બાદ હાલમાં જમીન મકાનના ધંધાર્થી યુવાનનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ મુસ્લિમ યુવાનની લાશને જવલંતશીલ પદાર્થ છાંટીને સળગાવી દેવામાં આવી હતી અને પુરવાનો નાશ કર્યો છે ત્યારે આ ગુનામાં જે કોઈ આરોપી પકડાઈ તેને આકરી સજા કરવામાં આવે તેવી મૃતકના પરિવારજનો અને સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે.