મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
SHARE
મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રભક્ત હોવાની જે અજય લોરીયા દ્વારા છબી ઊભી કરવામાં આવી રહી હતી તેની ક્રાઈમ કુંડળી સાથે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહિતના ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના આગેવાનો મોરબી એસપી કચેરીએ પહોચ્યા હતા. અને મોરબી જીલ્લામાં જેટલા પણ બે નંબરના ધંધા અને અસમાજિક પ્રવૃતિ કરવામાં આવે છે તેમાં અજય લોરીયા ભાગીદાર હોવાનો ગંભીર આક્ષેપ કરેલ છે અને આ તકે થોડા દિવસો પહેલા જે સિરામિક ઉદ્યોગપતિ ઉપર અજય લોરીયા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેના નામ સાથેની એક લેખિત અરજી પણ આપવામાં આવેલ છે. જો તેની પોલીસ તટસ્થ તપાસ કરે તો ચોંકાવનારી અનેક માહિતી સામે આવે તેવી શક્યતા છે.
મોરબીમાં મેટ્રો સીરામીક નામનું કારખાનું ધરાવતા શેખરભાઈ આદ્રોજા અને તેના મિત્ર ઉપર બે દિવસ પહેલા મોરબી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદાસ્ય અજય લોરીયા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આરોપી અજય લોરીયાને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામા આવેલ છે તેવામાં આજે શેખરભાઈ આદ્રોજાના નામની લેખિત અરજી સાથે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ, રાજુભાઇ ધમાસણા, વેલજીભાઇ પટેલ, મનોજભાઇ પનારા સહિતના ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના આગેવાનો સહિતના લોકો દ્વારા એસપી કચેરીએ પહોચીને અજય લોરીયાની ગુંડાગર્દીને લગતી રજૂઆત કરી હતી.
જેમાં જણાવ્યુ હતું કે, અજય લોરીયાને શેખરભાઈએ હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપેલા હતા જે રૂપિયા અવારનવાર પરત માંગ્યા છતાં આપેલ ન હતા અને ગત તા. 29/3 ના રોજ ભારત ટ્રાન્સપોર્ટના ડેલમાં તેઓની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે શેખરભાઈ અને તેના મિત્ર જયેશભાઇ પાડલીયાને મારી નાખવાના ઇરાદે અજય લોરીયાએ લોખંડની ખીલી વાળા લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. અને આ બનાવ સી.સી.ટી.વી. કેમેરામાં રેકોડ થયેલ છે જેમાં પણ જોઈ શકાય તેમ છે કે કેટલું ક્રૂરતાથી હુમલો કરવામાં આવ્યો હતો.
વધુમાં એવું પણ લખ્યું છે કે, અજય લોરીયાએ શેખરભાઈની જેમ અનેક લોકોના પૈસા લઇને પરત ન આપીને તે લોકો પૈસા માંગે તો તેને ધાકધમકી આપવી, લુખ્ખાગીરી કરવી અને હુમલો કરવો વિગેરે જેવી ઘટનાઓ મોરબીમાં બની છે. જો કે, ઘણા લોકો ડરના લીધે ફરીયાદ કરવા તૈયાર થતાં નથી. જો અજય લોરીયાની સાચી હકીકત બહાર કાઢવામાં આવે તો સાધુના વેશમાં સેતાન છુપાયેલ છે એવી વાત સામે આવે તેમ છે. તમામ પ્રકારના બે નંબરના ધંધા જેમા ક્રિક્રેટનો સટ્ટો રમાડવો, એમ.સી.એક્ષના ગેરકાયદેસર વાયદા લેવા, ડબાને ટ્રેડીંગ, બાયો ડીઝલ વેચવુ, હનીટ્રેપ કરવી, કિંમતી જમીન પર કબજા કરવા, ગુંડાગીરી અને દાદાગીરી કરવી, ગોવા લઇ જઈ ગેરકાયદેસર જુગાર રમાડવો, દારૂ વહેચતા બુટલેગરોને સપોર્ટ કરવો અને અનેક બેન-દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને ઘર બરબાદ કરેલ છે. આવા અનેક ગુનાહિત પ્રવૃતિઓ સાથે આ અજય લોરીયા જોડાયેલ છે લુખ્ખાગીરી અને ગુંડાગીરી કરતા લોકોની ગેંગ બનાવી પોતે ગેંગ લીડર બનીને અનેક લોકો પાસેથી પૈસા પડાવાના દાખલાઓ મોરબીમાં છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં ચાલતી મોટાભાગની બે નંબરની પ્રવૃતિમાં અજય લોરીયા અને તેના સાળાની ભાગીદારી હોય છે. તેવો પણ આક્ષેપ કરવામાં આવેલ છે.
ખાસ કરીને રાજકીય વગ તેમજ સામાજિક પ્રવૃતિના ઓઠા હેઠળ અનેક પ્રકારના ખોટા ધંધા અજય લોરીયા દ્વારા કરવામાં આવે છે. અને પોતાને રાષ્ટ્રભકત બતાવે છે પરંતુ તેની તમામ પ્રવૃતિ દેશદ્રોહી જેવી છે. અને પોતે ધર્મપ્રેમી હોવાનો ઢોંગ કરીને વિધર્મીઓ સાથે ગેંગ બનાવીને અનેક પાટીદાર યુવાનોને સટ્ટાના રવાડે ચડાવી તેની જીંદગી બરબાદ કરી છે. જો ખરેખર અજય લોરીયાની પ્રવૃતિઓની યોગ્ય તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે તો ઘણું બધુ બાહર આવે તેવી શક્યતા છે. આજે રજૂઆત કરવામાં આવી હતી
વધુમાં મનોજભાઇ પનારાએ જણાવ્યુ હતું કે, બાવળને આંબો સમજીને પાણી આપણે પાયું છે જો કે, હવે તેને કાપવાની જવાબદારી આપણી જ છે કેમ કે, જેટલા પણ બે નંબરના ધંધા છે તેમાં અજલ લોરિયાનો હાથ હોવાનું સામે આવી રહી છે જેથી તેની ક્રાઇમ કુંડળી એસપીને આપવામાં આવેલ છે. તો જયંતિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, એસપીએ રજૂઆત કરવા માટે આવેલા લોકોને શાંતિથી સાંભળ્યા હતા અને કહ્યું હતું કે, ચાર્જશીટ પટેલ આરોપીને જેલમાંથી જમીન મળશે નહીં અને ભોગ બનેલા જે પણ લોકો હોય તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો પોલીસ દ્વારા તુર્તજ કાર્યાવહી કરવામાં આવશે