મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર માટે ચાલતા ખેડૂત આંદોલનને મંત્રીના ભાઈએ આપ્યું સમર્થન: ગાંધીનગર ખાતે રેલી-રજૂઆતમાં ખેડૂતોને જોડાવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું આહ્વાન
SHARE
મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર માટે ચાલતા ખેડૂત આંદોલનને મંત્રીના ભાઈએ આપ્યું સમર્થન: ગાંધીનગર ખાતે રેલી-રજૂઆતમાં ખેડૂતોને જોડાવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું આહ્વાન
મોરબીના જેતપર ગામે વીજ લાઈનના પોલ સામે વળતર મામલે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને બે દિવસ પહેલા ટ્રેક્ટર રેલી કરીને કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યાર બાદ ગામમાં ઉપવાસી છાવણી ખાતે ધૂન યોજાઇ હતી જેમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સગા નાના ભાઈએ ખેડૂતોના આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું અને ત્યાર બાદ શુક્રવારે સાંજે જિગ્નેશ મેવાણીએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.
મોરબીના જેતપર ગામે ખેડૂતો ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર બાબતે આંદોલન કરી રહ્યા છે અને ગામમાં ઉપવાસી છાવણી પણ નાખવામાં આવી છે તેવામાં ગુરુવાર રાત્રીના સમયે ત્યાં રામધુન રાખી હતી ત્યાર બાદ ગામના આગેવાનો આંદોલન અને વળતર બાબતે પોતાની વાત હાજર રહેલા લોકો સમક્ષ રજૂ કરી રહયા હતા તેવામાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સગા નાના ભાઈ રાકેશભાઈ અમૃતિયાએ ખેડૂતોને લડી લેવા માટે આહ્વાન કર્યું હતું અને હક્કની લડાઈને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. જે વિડીયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે.
ત્યાર બાદ શુક્રવારે કોંગ્રેસનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપવાસી છાવણીએ આવ્યા હતા અને તેને સરકાર ઉપર પ્રહારો કર્યા હતા જેમાં જણાવ્યુ હતું કે, ખાનગી કંપનીઓને જો વીજળી બીજા રાજ્યોમાં લઈ જઈને કમાણી કરવી હોય તો ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે અને જે વીજ વાયરનો કોરિડોર નીકળી રહ્યો છે તેના માટે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. ખાસ કરીને તેઓએ કહ્યું હતું કે, “2013 ના જમીન સંપાદન કાયદામાં સ્પષ્ટ ચોખવટ છે કે ખેડૂતોને જંત્રીના બદલે માર્કેટ પ્રાઈસ કરતા 4 ગણું વળતર ચૂકવવું જોઈએ” જેનો અમલ કેમ કરવામાં આવતો નથી”.
વધુમાં એવું પણ કહ્યું હતું કે ખેડૂતો કામનો વિરોધ કરી રહ્યા નથી જો કે, યોગ્ય વળતર માંગે છે તો પણ તેઓને અધિકારીઓ દ્વારા અપાવવાને બદલે ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવે છે. મહિલા સહિતનાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવે છે તેમજ અમુક જગ્યાએ ધમકીઓ પણ આપવામાં આવે છે જે ખરેખર ખેડૂતોનું અપમાન છે. ત્યારે ખેડૂતોએ તેની જમીન માટે અને વળતર માટે આગામી 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે જે રજૂઆત સરકારમાં કરવાની છે તેમાં અચૂક જોડાવા માટે આહ્વાન કર્યું હતું. આ તકે પાલભાઈ આંબલીયા, મહેશભાઇ રાજકોટિયા, મનોજભાઇ પનારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.