ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન
SHARE
ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન
સમગ્ર મોરબી જીલ્લામાં તેમજ ખાસ કરીને માળિયા(મિં.) વિસ્તારમાં ધોધમાર પડેલા અતિભારે વરસાદ અને ઉપરવાસની પાણીની આવકના કારણે મચ્છુ નદીમાં ડેમના દરવાજા ખોલી વ્યાપક પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.પૂરના પાણી અને સતત વરસાદના કારણે ખેડૂતોનો મોંઘા ભાવનો ઉભો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂત આલમ ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગઈ છે.ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદને કારણે મચ્છુ ડેમમાં પાણીની મબલખ આવક થઈ હતી.ડેમનું રૂલ લેવલ જાળવવા અને સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા મચ્છુ નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહના કારણે કાંઠા વિસ્તારના ગામોના ખાસ માળિયા મિયાણા ના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.
ખેતરોમાં પાળા તોડીને ઘૂસેલા પૂરના પાણીના કારણે વાવેતર કરેલો કપાસ, મગફળી, તલ જેવા પાકો સંપૂર્ણ જળમગ્ન થઈ ગયા છે. અતિશય પાણી ભરાઈ રહેવાથી કપાસના છોડ ઢળી પડ્યા છે અને મૂળ સડી જવાની ભયાનક ભીતિ સેવાઈ રહી છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરીને પાક ઉછેર્યો હતો.ચોમાસાની શરૂઆતમાં પાક સરસ રીતે પાંગર્યો હતો.પરંતુ ૧ ઓગસ્ટના રોજ આવેલા આ કુદરતી કોપ અને નદીના પાણીના કારણે સમગ્ર મહેનત પર પાણી ફરી વળ્યું છે.અમે રાત-દિવસ એક કરીને કપાસ અને મગફળીનો પાક તૈયાર કર્યો હતો.પણ મચ્છુ નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતાં આખો પાક ધોવાઈ ગયો છે.હવે ફરીથી વાવેતર કરવાનો સમય પણ નથી રહ્યો અને અમારી પાસે આર્થિક ક્ષમતા પણ બચી નથી.
અસરગ્રસ્ત સ્થાનિક ખેડૂતની વ્યથા
ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં પાક નિષ્ફળ જવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.ખેડૂત અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા કૃષિ વિભાગ તથા જિલ્લા પ્રશાસન પાસે તાત્કાલિક માંગ કરવામાં આવી છે કે મહેસૂલ અને કૃષિ ટીમ દ્વારા માળિયા મિંયાણા અને મચ્છુ નદી કાંઠાના ગામોમાં ફરીને પાક નુકસાનીનો ચોક્કસ ડ્રોન સર્વે કરવામાં આવે અને નુકસાન પામેલા પાક માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર યોગ્ય આર્થિક વળતર-સહાય જાહેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.









