મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો
SHARE
મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો
મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું સીમિત ન રાખતાં તેમનામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ, જીવદયા, સેવાભાવ, સામાજિક જવાબદારી અને ગુરુજનો પ્રત્યે આદર જેવા જીવનમૂલ્યોનું સિંચન કરવામાં આવે છે. આ વિચારધારાને સાકાર કરતી વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું તાજેતરમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિવિધ વિભાગોમાં આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી નવયુગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયાના માર્ગદર્શન હેઠળ બાળકોના થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. લાઇફ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં નિષ્ણાત ડૉક્ટરો અને લેબ ટેક્નિશિયનો દ્વારા કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને થેલેસેમિયા માઇનોર અને મેજર વચ્ચેનો તફાવત, લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટનું મહત્ત્વ તથા થેલેસેમિયા મેજર જેવા ગંભીર રોગને અટકાવવા માટેની જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ જણાવ્યું હતું કે, “શિક્ષણની સાથે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને સામાજિક જાગૃતિ પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. યુવાનો જાગૃત બનશે તો જ આપણે થેલેસેમિયા મુક્ત સમાજના નિર્માણનો સંકલ્પ સાકાર કરી શકીશું.”
નાની ઉંમર, મોટો સંકલ્પ
નવયુગ શૈક્ષણિક સંકુલની ધો. 7 ની વિદ્યાર્થીનીઓએ જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વિદ્યાર્થીનીઓએ ધોરણ 6માં અભ્યાસ કરતી વખતે સંકુલના મેદાનમાં અલગ-અલગ સ્થળોએ કીડીઓને નિયમિત કણ આપીને ‘કીડીયાળું પૂરવાની સેવા’ શરૂ કરી હતી. હવે ધોરણ 7માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીઓએ પોતાના સેવાકાર્યને સતત એક વર્ષ સુધી આગળ વધારવાનો સંકલ્પ લીધો છે.
શિક્ષકદિનની ઉજવણી
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગોમાં શિક્ષકદિનની ઉત્સાહભેર અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી શિક્ષકના જીવનઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં રહેલા અમૂલ્ય યોગદાનને વંદન કર્યું હતું. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ વિવિધ પ્રવૃત્તિઓએ સાબિત કર્યું છે કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી, પરંતુ સ્વસ્થ શરીર, સંવેદનશીલ હૃદય, સેવાભાવી વિચાર અને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતાનું ઘડતર છે.