મોરબીમાં પિતાના અવસાન બાદ તેમણે લખેલ અધૂરું પુસ્તક અડધે રસ્તે અંધારું પૂરું કરીને પુત્રએ તેનું કર્યું વિમોચન
SHARE
મોરબીમાં પિતાના અવસાન બાદ તેમણે લખેલ અધૂરું પુસ્તક 'અડધે રસ્તે અંધારું' પૂરું કરીને પુત્રએ તેનું કર્યું વિમોચન
મૂળ ટંકારાના સજનપર ગામના રહેવાસી ડૉ. રાજેશ મકવાણા કે, જેઓ હાલ ગાંધીનગર ખાતે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્રના પ્રોફેસર અને અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની હેઠળ ૨૧ જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી. ની ડિગ્રી મેળવી છે અને ડૉ.રાજેશ મકવાણાના પિતાજી સ્વ.જે.ટી.મકવાણા જેઓ એમ.એસ. દોશી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. તેમનું ૩૪ વર્ષ જેટલી નાની ઉંમરે અકસ્માતમાં અવસાન થયું હતું અને તેઓએ લખેલું પુસ્તક તેઓના દીકરા ડૉ. રાજેશ મકવાણાએ સંપાદિત કરીને તેમની ૪૦મી પુણ્યતિથિએ મોરબીના ભડિયાદ રોડ પર આવેલ તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલખાતે મહાનુભાવો, પરિવારજનો અને સગા સંબંધીઓની ઉપસ્થિતિમાં વિમોચન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં નિર્લોક પરમાર પ્રસ્તુત અને ચેતન દોશી અભિનીત 'રાષ્ટ્રપુરુષ ડૉ. આંબેડકર' લઘુનાટક રજૂ થયું હતું. અને સંજુ વાળા, ડૉ. રતિલાલ રોહિત, ડૉ. જે. એમ. ચંદ્રાવાડિયા, ડૉ. સુનીલ જાદવ તેમજ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી ભરત સોલંકી તેમજ મોરબીના સાહિત્ય સર્જકો હાજર રહ્યા હતા ત્યારે સ્વ. જે.ટી. મકવાણાએ ડૉ. બાબાસાહેબના વિચારોથી પ્રભાવિત થઈને એમને સામાજિક જાગૃતિની જ્યોત પણ જગાડેલી અને લખવાનો શોખ હતો. ખાસ કરીને પોતાના વિચારો અને આત્મવૃત્તાંત તેઓ નિયમિત લખતા હતા.
જો કે, ખેદની વાત તો એ છે કે એમણે ફાઉન્ટન પેનથી લખેલું સાહિત્ય મોરબીની જળહોનારતમાં ગરકાવ થઈ ગયું. એમાંથી જે બચ્યું તે અને એમના પરિચયમાં આવેલા મિત્રો, વિદ્યાર્થીઓ અને સગા સંબંધીઓના સંસ્મરણોનું સંપાદન કરીને પ્રા. ડૉ. રાજેશ મકવાણાએ 'અડધે રસ્તે અંધારું' પુસ્તક તૈયાર કરીને બહોળા લોકસમુદાયની હાજરીમાં લોકાર્પણ કરીને સ્વ. પિતાજીને પુણ્ય સ્મરણાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમનું સંચાલન આણંદ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. રાકેશ રાવત દ્વારા કરવામાં આવ્યું. અને આ પુસ્તક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.









