અમારી વાડીમાં માઇનોર કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી કહીને હળવદના ઢવાણા ગામે પિતા-પુત્રને માર માર્યો
મોરબીની પરાબજારમાં સીસી રોડ બનાવીને વેપારીઓનો પ્રશ્ન ઉકેલવાની ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ખાતરી
SHARE
મોરબીની પરાબજારમાં સીસી રોડ બનાવીને વેપારીઓનો પ્રશ્ન ઉકેલવાની ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ખાતરી
મોરબીના હાર્દ સમાન પરા બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ડામર રોડ ઉપર ડામરના થર ઉપર થર તંત્ર દ્વારા ચડાવવામાં આવી રહ્યા છે જેથી કરીને વેપારીઓની દુકાન ખાડામાં જતી રહી હોય તેવો ઘાટ સળગા સર્જાયો હતો જેથી કરીને સ્થાનિક વેપારીઓ દ્વારા કાઉન્સિલર તેમજ માજી કાઉન્સિલરને સાથે રાખીને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ આ પ્રશ્નનો છ મહિનામાં કાયમી નિકાલ કરવા માટે થઈને ખાતરી આપી હતી ત્યારે વેપારીઓએ પરાબજાર મેઇન રોડ આગામી સમયમાં સીસી રોડ બનાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી
મોરબીમાં પ્રવેશદ્વાર સમાન પરા બજાર વિસ્તારમાં થોડા સમય પહેલા રોડ રસ્તા ઉપર ખાડા ખબડા હતા ત્યારે તંત્ર દ્વારા રાતોરાત ડામર રોડ ઉપર ડામર પાથરવામાં આવ્યો હતો જેથી કરીને વેપારીઓની દુકાન પાસે અડધા ફૂટના ખાડા જેવો રસ્તો થઈ ગયો હતો અને ત્યાં વસ્તુ લેવા માટે આવેલા ગ્રાહકો પોતાના વાહન પાર્ક કર્યા બાદ વાહન પણ કાઢી ન શકે તેવી પરિસ્થિતિ હતી તેવામાં હાલમાં પેચ વર્ક માટે થઈને સરકારમાંથી જે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે તેનો ઉપયોગ કરીને મોરબીના ભક્તિનગર સર્કલથી લઈને સર્કિટ હાઉસ સુધીના રસ્તાને ડામરથી મઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના પરાબજાર વિસ્તારમાં રોડ કરતાં અગાઉ અડધા ફૂટ જેટલી દુકાનો નીચે ઉતરી ગઈ છે અને તેમાં હજુ ચાર ઇંચ વધુ ડામર ચડે તો વેપારીઓની મુશ્કેલી વધે તેવી શક્યતા હતી જેથી સ્થાનિક વેપારીઓ દ્વારા પ્રથમ માજી કાઉન્સિલર દીપકભાઈ પોપટ તથા મોરબી પાલિકાના વર્તમાન કાઉન્સિલર અને ચેરમેન આસિફભાઈ ઘાંચીને સ્થળ ઉપર બોલાવીને સ્થળ પરિસ્થિતિ બતાવી હતી અને વેપારીઓની મુશ્કેલી અંગે રજૂઆત કરવામાં આવી હતી
ત્યારબાદ માજી કાઉન્સિલર અને કાઉન્સિલરને સાથે રાખીને વેપારીઓ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે, ડામરના રોડ ઉપર ડામર વારંવાર પાથરવામાં આવતો હોવાથી જે દુકાનો પહેલા રોડ કરતાં ઊંચી હતી તે હાલમાં રોડથી નીચે થઈ ગઈ છે જેથી ચોમાસા દરમિયાન વેપારીઓની મુશ્કેલી વધે તેવી શક્યતા છે અને હાલમાં વેપારીઓની દુકાને માલ લેવા આવતા ગ્રાહકો પોતાના વાહન પાર્ક ન કરી શકે તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે જેથી આ રોડને નીચો ઉતારીને સીસી રોડ બનાવવામાં આવે તેવી લાગણી વેપારીઓએ વ્યક્ત કરી હતી ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વેપારીઓની લાગણીને માગણી મુજબ આગામી ૬ માસની અંદર આ પ્રશ્ન ઉકેલ આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી તેવું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું છે









