મોરબીની કોર્ટમાં સરેન્ડર કરનાર જયસુખ પટેલને જ્યુડીશ્યલ ક્સ્ટડીમાં મોકલવા કોર્ટનો હુકમ
SHARE
મોરબીની કોર્ટમાં સરેન્ડર કરનાર જયસુખ પટેલને જ્યુડીશ્યલ ક્સ્ટડીમાં મોકલવા કોર્ટનો હુકમ
મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યો હતો તે ઘટનામાં ભાગેડુ આરેપી તરીકે ચાર્જસીટમાં જયસુખ પટેલનું નામ દર્શાવવામાં આવ્યું હતું અને આજે જયસુખ પટેલ દ્વારા મોરબીની ચિફ જ્યુડીશ્યલ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું છે અને તેને કોર્ટમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે કોર્ટે હુકમ કર્યો છે અને મોરબીની સબ જેલમાં જયસુખ પટેલને મોકલવામાં આવશે ત્યારબાદ આ કેસના તપાસની અધિકારી દ્વારા કોર્ટમાં અરજી કરીને જયસુખ પટેલનો મોરબીની સબજેલમાંથી કબ્જો લેવામાં આવશે.
મોરબીમાં ત્રણ મહિલા પહેલા મચ્છુ નદી ઉપરનો વર્ષો જૂનો જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે મોરબીના બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પુલનું મેન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ છે અને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને જે તે સમયે અગાઉ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જે ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું તેમાં ભાગેડુ આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલનું નામ દર્શાવવામાં આવ્યું હતું તેવું ચાર્જસીટ મેળવનારા આરોપીઓના પરિવાર પાસેથી જાણવા મળ્યું છે.
આવતીકાલે મોરબીની કોર્ટમાં જયસુખ પટેલની આગોતરા જામીનની અરજી માટેની સુનવણી હાથ ધરવામાં આવનાર હતી ત્યાર પહેલાં આજે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ દ્વારા મોરબીની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું છે અને કોર્ટ દ્વારા તાત્કાલિક આ અંગે તપાસનીશ અધિકારીને જાણ કરવામાં આવી હતી જેથી કરીને આ બનાવની તપાસ કરતા મોરબીના ડિવાયએસપી પી.એ. ઝાલા તાત્કાલિક મોરબીની કોર્ટમાં દોડી આવ્યા હતા.
જોકે કોર્ટના જજ દ્વારા હાલમાં જયસુખભાઈ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોરબીની સબજેલમાં મોકલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા કોર્ટમાં અરજી કરીને સબજેલમાંથી જયસુખ પટેલનો કબ્જો મેળવવામાં આવશે અને ઝુલતા પુલ દુર્ઘટના સંદર્ભે જયસુખ પટેલના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે તેવું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે.