મોરબી : સ્થાનિક બજાર કિંમત કરતા સરકાર દ્વારા નક્કી કરાયેલી જંત્રી કિંમત વધુ હોય, બજાર કિંમત અને આકારણી વચ્ચેની વિસંગતતા દૂર કરવા માંગ
SHARE
મોરબી : સ્થાનિક બજાર કિંમત કરતા સરકાર દ્વારા નક્કી કરાયેલી જંત્રી કિંમત વધુ હોય, બજાર કિંમત અને આકારણી વચ્ચેની વિસંગતતા દૂર કરવા માંગ
પ્લોટ અને જમીનની આકારણી (જંત્રી) સંદર્ભે રહેલી વિસંગતતા ના નિવારણ માટે વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ વિજયભાઈ લોખીલ દ્વારા મુખ્યમંત્રીને, કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રના સાંસદ વિનોદભાઈ ચાવડા, તેમજ રાજકોટ લોકસભા ક્ષેત્રના સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિત મોરબી જિલ્લાના મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયા તેમજ ટંકારા - પડધરી વિધાનસભાનાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતનાને પત્ર લખીને આ વિસંગતતા નિવારવા લેખિત રજૂઆત કરેલ. જેની વિસ્તૃત સમજણ પૂર્વકની વિગતો પ્રમાણે સરકાર દ્વારા દરેક જિલ્લાના, દરેક તાલુકાના, દરેક સર્વે નંબરની એક નિયત જંત્રી એટલે કે, અકારણી નક્કી કરવામાં આવેલી હોય છે. જેમાં દસ્તાવેજ કરતી વખતે, જે તે નક્કી કરાયેલી જંત્રી કરતા, ઓછી કિંમત કે, રકમનો દસ્તાવેજ ન બનાવી શકાય, અને તેના થકી થતા ભ્રષ્ટાચારને અટકાવી શકાય. અને સરકારના રેવેન્યુ વિભાગને થતી નુકસાની થી નિવારી શકાય. આવો સરકારનો અને સંવિધાનનો મૂળતઃ હેતુ રહેલો છે.
પરંતુ હાલમાં જ્યારે મોરબી ઉદ્યોગ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે અકારણી એટલે કે, જંત્રીની વિસંગતતાના કારણે ખેડૂતોને, તેમજ જમીન ખરીદનાર બંનેને ખુબ મોટા પ્રમાણમાં, તેની આકારણી(જંત્રી)ની કિંમત પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. જેના કારણે ખુબ મોટી વિસંગતતા સર્જાયેલ હોય, તાત્કાલિક ધોરણે આ વિસંગતતા ને દૂર કરવી ખૂબ જરૂરી છે. દાખલા તરીકે રવાપર રોડ અને તેની સાથે સ્પર્શ થતાં, અન્ય વિસ્તારમાં ખૂબ મોટો તફાવત છે. તે રીતે વજેપર વાડી વિસ્તાર અને માધાપર વાડી વિસ્તારના પણ, અમુક વિસ્તાર ખૂબ મોટી કિંમતની જંત્રી વાળા વિસ્તારોને સ્પર્શતા હોય છે. જેના કારણે સર્વે નંબરમાં જંત્રીની કિંમત ખૂબ વધુ હોવાથી, અને મૂળ બજાર કિંમત ઓછી હોવાથી, જંત્રી પ્રમાણેની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. જ્યારે વાસ્તવિકતાની બજાર કિંમત ખૂબ જ ઓછી છે. દાખલા તરીકે જે જમીનની કિંમત 1000 રૂપિયા સ્ક્વેર ફીટ છે, તો તેની સામે તે જમીનની જંત્રીની કિંમત એ જગ્યાએ આશરે 1500 રૂપિયા અથવા 2000 રૂપિયા જેવી છે. હજી જો વધુ સરળતાથી સમજાવવા પ્રયત્ન કરવામાં આવે તો, જે જમીનની બજાર કિંમત સો રૂપિયા છે. તે જમીનની ત્યાંની જંત્રી એટલે કે અકારણી 200 રૂપિયા અથવા તેથી વધુ છે. જેના કારણે મૂળ બજાર કિંમત કરતાં પણ જંત્રીની કિંમત ખૂબ વધુ હોય, આ વધારાનો બોજો ખેડૂતો ઉપર અને આ બિનખેતી કરાયેલી જમીન દ્વારા બનતા મકાનોમાં, તથા તે મકાનની કિંમતમાં, મકાન લેનારને, તેમજ ઉદ્યોગ સ્થાપનાર ઉદ્યોગપતિને તેમજ, આ વિસ્તારમાં અન્ય કોઈ વિકલ્પ માટે જમીનો જ્યારે, સંપાદન કરી રહ્યા હોય છે, ત્યારે તેઓને વ્યક્તિગત રૂપે ખૂબ મોટી જંત્રી ભરવા માટે ફરજ પડે છે. તો આ જંત્રીની વિસંગતતા થી ખેડૂતો, તથા મકાન ખરીદવા ઇચ્છતા મકાન વિહોણા લોકો તેમજ સાહસિક ઉદ્યોગકારોને, આ વધારાના ભારણ થી બચાવવા માટે, વહેલી તકે આવી વિસંગતતા ને દૂર કરવા, મુખ્યમંત્રીને યોગ્ય કક્ષાએથી પગલાં લેવા. આ વિષયને ન્યાય આપવા, આ ક્ષેત્રમાં બની રહેલા મકાનો, ખાલી પડેલા પ્લોટ અને બિનખેતી માટે મૂકવામાં આવેલી જગ્યાઓનું, અને વિકાસ અર્થે વેચાણ માટે આવનારી જમીનોનું મુખ્યમંત્રીને પોતાની કક્ષાએ થી સર્વે કરાવીને, આ વિસંગતતાઓ દૂર કરવા રજૂઆત લેખિત સ્વરૂપે કરવામાં આવેલ છે.
જેથી કરીને જંત્રીની કિંમત અને મૂળ બજાર કિંમત વચ્ચેનો તફાવત છે. તેને દૂર કરી શકાય. આ વિષય પરત્વે મુખ્યમંત્રીને તેમની કક્ષાએથી યોગ્ય કરવા વિનમ્ર રજૂઆત કરવામાં આવી છે. વધુ વિગતો આપતા વિજયભાઈ લોખીલ જણાવે છે કે, વજેપર વિસ્તાર ખૂબ મોટા વિસ્તારમાં વ્યાપ્ત છે, જેમાં બધોજ વિસ્તાર ઊંચી બજાર કિંમત ધરાવતો નથી. જ્યાં આ વજેપર વિસ્તાર શનાળા રોડને સ્પર્શે છે, ત્યાં કદાચ ઊંચી બજાર કિંમત હોય શકે પરંતુ, વજેપર વિસ્તારમાં આવતો બધોજ વિસ્તાર આવી બજાર કિંમત ધરાવતો નથી. તે પ્રમાણે માધાપરનાં ઘણા સર્વે નંબર એવા છે, જ્યાં હાલમાં બજાર કિંમત ઓછી છે, તો ત્યાં મુખ્ય રોડને સ્પર્શ થતાં સર્વેનંબર પ્રમાણેની આકારણી ભરવી અતિસય ભારણ રૂપ છે. તો મોરબી વિસ્તરમાં આવતા વજેપર, માધાપર અને રવાપરના અંદારુની વિસ્તારની આકારણી સર્વેનંબર પ્રમાણે, વિભાજીત કરીને ઓછી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી લેખિત સ્વરૂપે મુખ્યમંત્રીને કરવામાં આવી. જેથી આખા વિસ્તારને ભારણરૂપ લગતી આકારણી ને હળવી કરી શકાય.
આ વિષય સંદર્ભે વધુ વિગતો આપતા વિજયભાઈ લોખીલ જણાવે છે કે, એવું નથી કે, આ વિસ્તાર વિકાસ નથી કરતો, વિકાસ અવશ્ય થાય છે, અને ભવિષ્યમાં પણ થશે. પરંતુ અમરેલી, ખીજડીયા, નાનીવાવડી, શનાળા, ભડીયાદ, પંચાસર, મહેન્દ્રનગર આ બધા વિસ્તારથી અનેકગણી વધુ આકારણી ભરવી ખૂબ ભારણ વધારનારી છે. તેથી વિકાસ પ્રમાણેના સર્વેનંબર અલગ કરીને, અન્ય મોટાભાગના વિસ્તારને કે જ્યાં બજાર કિંમત ખૂબ ઓછી છે. ત્યાં સર્વે નંબર પ્રમાણે આકારણી ઓછી કરવા વિનમ્ર રજૂઆત કરવામાં આવી છે. આ તબક્કે સરકાર વહેલી તકે વ્યાપ્ત વિસંગતતા નિવારશે તેવો આશાવાદ રજૂઆત કર્તા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. અને ચૂંટાયેલા ઉપરોક્ત રાજકીય આગેવાનો ઉપરાંત પણ, આ રજૂઆત ગુજરાત સરકારના મુખ્યસચિવ, તેમજ મહેસૂલ વિભાગનાં અગ્ર સચિવ, કલેકટર-મોરબીને પણ કરવામાં આવી છે.