રાજસ્થાનના બ્યાવર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપરણના બનાવમાં ભોગ બનનાર સગીરા અને આરોપી મોરબીમાંથી મળ્યા
SHARE
રાજસ્થાનના બ્યાવર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપરણના બનાવમાં ભોગ બનનાર સગીરા અને આરોપી મોરબીમાંથી મળ્યા
મોરબી પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં સિરામીક સહીત અન્ય કારખાનાઓ આવેલા છે અને તેમાં દેશના જુદાજુદા રાજ્યોમાંથી મજૂરો મજુરી કામે આવતા હોય છે અને અહીં રહેતા હોય છે જે પૈકી ઘણા સંજોગોમાં જે તે વિસ્તારમાં ગુના આચરીને અહીં મોરબી આવીને મજૂરીકામ કરવા લાગતા હોય તેવા બનાવો પણ સામે આવે છે કારણ કે મોરબીમાં પૂરતી તપાસ કર્યા વિના કે રજીસ્ટર નિભાવ કર્યા વગર મજૂરોને આડેધડ કામે રાખવામાં આવતા હોય છે ત્યારે આવા બનાવો બને છે અને બાદમાં તે મજૂરોને ગોતવા કે ગુના આચરે તો તેને પકડવા મુશ્કેલ બની જતા હોય છે.આવો જ એક બનાવ મોરબીમાં સામે આવ્યો હતો જેમાં રાજસ્થાનના બ્યાવર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં ભોગ બનેલી સગીરા અને આરોપી મોરબી હોવાની બાતમી મળતા રાજસ્થાન પોલીસ મોરબી આવી હતી અને અહીંના રંગપર નજીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા આરોપી અને ભોગ બનેલ સગીરાને શોધી કાઢી તપાસના કામે સાથે લઈ ગયા હોવાનું જાણવા મળે છે.
મોરબી તાલુકા પોલીસસુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના રાજગઢ જિલ્લાના બ્યાવર પોલીસ સ્ટેશન વિસ્તારના પીએસઆઇ વિષ્ણુ મીણા મોરબી આવ્યા હતા અને બાતમીના આધારે તેઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોકસો ગુનામાં ભોગ બનનાર સગીરા અને આરોપી મનોજ કાંતાપ્રસાદ પરમાર મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ સેલજા સિરામિક નજીક હોવાની ટેકનીકલ બાતમી મળી હતી જેથી કરીને સ્થાનિક મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને તપાસ કરવામાં આવતા મોરબીના રંગપર ખાતેથી બ્યાવર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના બનાવમાં ભોગ બનેલ સગીરા અને આરોપી મનોજ કાંતાપ્રસાદ પરમાર મળી આવતા તપાસના કામે બંનેને સાથે રાજસ્થાન લઈ ગયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
પાટણ પોલીસે દારૂના ગુનામાં મોરબીમાંથી ત્રણને રાઉન્ડઅપ કર્યા
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાટણના સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં મોબાઇલ નંબરોને આધારે નામ ખુલ્યા હોય ત્યાંના પીએસઆઇ જે.આર.શુક્લા દ્વારા મોરબીના મહેબૂબ કાસમ સુમરા રહે. કુલીનગર વીસીપરા મોરબી, સલીમખાન ફિરોઝખાન પઠાણ (૨૫) રહે. કુલીનગર વીસીપરા મોરબી અને સોયેબશા આદમશા શાહમદાર (૨૨) રહે. જુના હાઉસિંગ બોર્ડ વીશીપરા પાસે મોરબી વાળાઓને તપાસના કામે રાઉન્ડઅપ કરીને સાથે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતો અજય દિનેશ માલાણી નામનો ૧૭ વર્ષનો યુવાન મોરબીના નવા બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક અકસ્માતે પલ્ટી મારી ગયું હતું જેથી કરીને ઇજાઓ થતા તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.