ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન: રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ
SHARE
ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન: રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ
મોરબીમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ મોરબીમાં ચારે ફિરકાની સામૂહિક શાશ્વતી ચૈત્રમાસની ઓળીમાં પૂજ્ય ગુણરત્નશુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મ.સા.નો મંગલ પ્રવેશ થયો છે.
ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજના મંગલ પ્રવેશ નિમિત્તે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ગુરુદેવ જૂનાગઢ ગિરનાર તીર્થથી ૪૫૦ કિલોમીટરનો ઉગ્ર વિહાર કરીને ચૈત્રમાસની શાશ્વત ઓળીમાં નિશ્રા આપવા માટે મોરબી સંઘમાં પધાર્યા છે. ત્યારે નગર દરવાજાથી ગુરુદેવનું સામૈયું કરવામાં આવ્યું હતું. સામૈયામાં ૨૭ શુકનવાળી સુહાગન બહેનો તથા ૩૬ બાળાઓ દ્વારા ગુરુદેવના વધામણા કરાયા હતા.
આ સામૈયુ દરબારગઢના શ્રાવકોના ઉપાશ્રમયમાં ઉતર્યું હતું. ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન છે. નવપદ એજ જિનશાસન છે અને જિનશાસન એજ નવપદ છે. નવપદ બહાર જિનશાસનની એક પણ આરાધના નથી.
સાથે જ ચૈત્ર સુદ 13ના દિવસે પ્રભુવીરના ૨૬૨૧ મા જન્મ કલ્યાણક નિમિત્તે રથયાત્રા સાથે શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં મોરબી સંઘના ચારે ફિરકાના સંઘો જોડાશે. મોરબી સંઘના ૫૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ૪૦ થી વધુ સાધુ, સાધ્વીજી, ભગવંતોનું એક સાથે આગમન થયું છે.