મોરબીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખીને નિવૃત એએસઆઈને બેઝબોલના ધોકા વડે માર માર્યો
SHARE
મોરબીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખીને નિવૃત એએસઆઈને બેઝબોલના ધોકા વડે માર માર્યો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં લાલબાગ પાસે મંદિરના ગ્રાઉન્ડમાં બેઠેલ નિવૃત એએસઆઈને અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને એક શખ્સે બેઝબોલના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલા નિવૃત્ત પોલીસ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નિવૃત એએસઆઈ વનરાજસિંહ ભૂપતસિંહ ઝાલા જાતે દરબાર (૬૧) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ ગઈકાલે સાંજના ૬ વાગ્યાના અરસામાં લાલબાગ પાસે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં બેઠા હતા ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને નવ મહિના પહેલા મારા બાપુજી અને ભાઈ સાથે ઝઘડો કેમ કર્યો હતો તેવું કહીને બોલાચાલી કરી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા તેના હાથમાં રહેલ બેઝબોલના ધોકા વડે નિવૃત પોલીસ કર્મચારીને માથા અને જમણા હાથે માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઈજા પામેલા નિવૃત્ત પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં તેને માથામાં વધુ ઇજા થઇ હોવાથી ટાંકા આવ્યા હતા અને ખભામાં ફ્રેક્ચર જેવી ઈજા થઇ હતી જેથી કરીને નિવૃત પોલીસ કર્મચારી આરોપી સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના બગથળ ગામે રહેતો રાકેશ ભુરીયા (૨૯) નામનો યુવાન ઘરેથી કામે જતો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જતાં તેને ડાબા હાથમાં ઈજા થઈ હતી જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









