મોરબીના નાગડાવાસ ગામે વૃદ્ધે અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબીના નાગડાવાસ ગામે વૃદ્ધે અંતિમ પગલું ભર્યું
મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા વૃદ્ધે તેઓના ઘરે ગળેફાંસો ખાઈ લેતા વૃદ્ધનું મોત નિપજયુ હતું અને તેમના ડેડબોડીને પીએમ માટે સિવિલે લાવવામાં આવતા હાલ મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી અને તેમાં સામે આવ્યું હતું કે માનસિક બીમારી સબબ વૃદ્ધે અંતિમ પગલું ભરી લીધુ હતુ.
વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નાગડાવાસ ગામે રહેતા રવાભાઈ અરજણભાઈ બોરીચા નામના ૭૦ વર્ષના વૃદ્ધે તેઓના ઘરે રાત્રિ દરમિયાન કોઇપણ સમયે સવારના ૯ વાગ્યા પહેલા તેમના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો.જેના પગલે તેઓનું મોત નીપજતા મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.જેથી હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથક ખાતે આ બનાવની નોંધ કરવામાં આવી હતી અને તેની તપાસ બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરાને સોંપવામાં આવી હતી.તપાસ અધિકારી ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવતા હાલ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે કે મૃતક રવાભાઈ બોરીચાને માનસિક બીમારી હોય તે સબબ બીમારીથી કંટાળી જઈને તેઓએ અંતિમ પગલું ભરી લીધું હતું.જેના પગલે તેમનું મોત નિપજેલ છે.
પરિણીતા સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિપાર્ક શેરી નંબર-૧ માં રહેતા શહેનાઝબેન આદિલભાઈ અયુબભાઈ માણેકિયા (ઉમર ૨૩) નામની પરણીતાએ તેના ઘરે માછલી ઘરમાં નાંખવાની કોઈ દવા પી લેતા તેણીને અત્રેની આયુષ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેણીનો લગ્નગાળો એક વર્ષનો હોય અને હોસ્પિટલ તરફથી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવેલ હોય હાલ આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના શાકમાર્કેટ નજીક આવેલ સિપાઈવાસ વિસ્તારમાં રહેતા શબ્બીરહુશેન અલીમામદ પાયક નામના ૬૦ વર્ષના વૃદ્ધને તેઓના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.સારવાર કરવામાં આવ્યા બાદ ઉપરોક્ત બનાવ બાબતે હોસ્પિટલ તરફથી જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા આ સંદર્ભે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામ પાસેથી બાઈક લઈને જતા સમયે યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામેલા પરશોતમભાઈ શીવાભાઈ પરમાર (૩૭) રહે.મોરબી પંચાસર ચોકડી રામજી મંદિર પાસે વાળાને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા અકસ્માત બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.