મોરબીમાં રોડ ઉપરનો ખાડો તારવવા જતા રિક્ષામાં બેઠેલ પાંચ વર્ષનો બાળક તેના પિતા સહીત રોડ ઉપર ફેંગોળાતા બંનેને ઇજા
SHARE
મોરબીમાં રોડ ઉપરનો ખાડો તારવવા જતા રિક્ષામાં બેઠેલ પાંચ વર્ષનો બાળક તેના પિતા સહીત રોડ ઉપર ફેંગોળાતા બંનેને ઇજા
મોરબીની નવલખી ચોકડી પાસે ઓવર બ્રિજ નજીકથી રિક્ષામાં બેસીને જતા સમયે યુવાન તથા તેનો પાંચ વર્ષનો બાળક અકસ્માતે નીચે રોડ ઉપર પડી જતા બંનેને સારવારમાં ખસેડાયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીની નવલખી ચોકડી પાસે રહેતા સંજયભાઈ કરશનભાઈ ચારોલીયા (ઉમર ૨૭) તથા કરણ સંજયભાઈ ચારોલીયા (ઉમર ૫) ને વાહન અકસ્માતમાં ઈજા થતા તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સારવાર કર્યા બાદ ક્રિષ્ના હોસ્પિટલ તરફથી બનાવ અંગ મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મેતાએ તપાસ કરતા ખુલ્યુ હતુ કે સંજયભાઈ ચારોલીયા પોતાના પાંચ વર્ષના પુત્ર કરણની સાથે રિક્ષામાં જતા હતા ત્યારે નવલખીના ઓવરબ્રિજનો માળિયા તરફનો ઢાળ ઉતરતા સમયે રોડ ઉપરનો ખાડો તારવવા જતા સર્જાયેલ અકસ્માતમાં બંને રિક્ષામાંથી નીચે પડી ગયા હતા જેથી ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.
ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
મોરબી પંથકમાં ભારે માત્રામાં ખનીજ પરિવહન થાય છે અને મોટાભાગે તેમાં રોયલ્ટી કે પાસ પરમિટ હોય તેવું ભાગ્ય જ જોવા મળે છે.દરમિયાનમાં પોતાની કામગીરી બતાવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા એકલદોકલ વાહનોને પકડીને કામગીરી કર્યાનો સંતોષ માની લેવામાં આવે છે. તે મુજબ મોરબીના રંગપર (બેલા) પાસેથી એક વાહન પકડવામાં આવ્યું હતું.જેમાં વાહન નંબર એચઆર ૪૦ ઇ ૫૦૨૪ માં ફલોસ્પાર ખનીજ ભરેલું હોય અને તે અંગે આધાર પુરાવા માંગવામાં આવતા ચાલક તૌફીક જમાલુદ્દીન પાસે વાહનમાં ભરેલ ખનીજના કોઈક આધાર પુરાવા ન હોય હાલ દંડ વસૂલવાની કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગના આર.કે.કણસાગરા દ્વારા વાહનને જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યુ હતુ.
મારામારીમાં ઇજા થતા સારવારમાં
મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા નિલેશભાઈ રામજીભાઈ ચાડમીયા નામના ૩૭ વર્ષના યુવાનને ખરેડા ગામે તેના ઘરે મારામારીના બનાવમાં ઇજા પહોંચી હોય નિલેશભાઇને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો અને બનાવ સંદર્ભે પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મારામારીનો બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં બન્યો હતો જેમાં કેરામીક ઇન્ડિયા નામના કારખાના પાસે મારામારીના બનાવમાં કરણસિંગ ઠાકુર નામના ૨૯ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી જેથી સારવારમાં ખસેડાયો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના હળવદ તાલુકાના કેદારીયા ગામના વતની સાહિલ સોંડાભાઈ શિહોરા નામના ૨૭ વર્ષના યુવાનને મોરબીના સાપર ગામથી ગાળા જતા સમયે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે તે બંધ પડી ગયેલ રીક્ષાને ટોચિંગ કરીને લઈ જતો હતો તે સમયે જેતપર રોડ ઉપર સોલોટેકક્ષ નામના યુનિટ નજીક અજાણ્યા ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સર્જાયેલ બનાવમાં સાહિલ શિહોરાને ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવારમાં ખસેડાવ્યો હતો તાલુકા પોલીસના ફિરોજભાઈ સુમરા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.